ચીન સાથે તણાવ વચ્ચે નોર્થ-ઈસ્ટમાં અહીં જશે PM મોદી, ખુદ ગૃહમંત્રી શાહ કરી રહ્યા છે કાર્યક્રમની અધ્યક્ષતા

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ ઈસ્ટની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત રવિવારે (18 ડિસેમ્બર) છે. મેઘાલયના શિલાંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમમાં PM મોદી સામેલ થશે. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, રાજ્યપાલ અને તમામ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.
PM મોદીનો નોર્થ-ઈસ્ટનો પ્રવાસ ખૂબ જ મહત્વનો
નોર્થ ઈસ્ટ બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી પણ સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથેના તણાવની વચ્ચે PM મોદીનો નોર્થ-ઈસ્ટનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદી મેઘાલયની સાથે ત્રિપુરા રાજ્યની પણ મુલાકાત લેશે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ બુધવારે (14 ડિસેમ્બર) આ અંગે માહિતી આપી હતી.
ત્રિપુરામાં પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે PM મોદી
બુધવાર (14 ડિસેમ્બર)એ અગરતલાના પ્રજ્ઞા ભવનમાં એક ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પીએમ મોદી 18 ડિસેમ્બરે બપોરે 2.30 વાગ્યે ત્રિપુરાની મુલાકાતે આવશે. તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. સાથે જ ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરશે અને ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ત્રિપુરાની યાત્રા પહેલા PM મોદી મેઘાલયના શિલોંગમાં એક બેઠકમાં સામેલ થશે.