સામી ચૂંટણીએ પેટનો ખાડો પૂરવા મતદારોનું સ્થળાંતર; સંજેલી તાલુકામાં 20 એસટી બસમાં પાંચ દિવસનું વેઇટિંગ
દાહોદ જિલ્લામાં મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંજેલી તાલુકામાંથી રોજગારી માટે લોકો દ્વારા કરાઇ રહેલું સ્થળાંતર ચિંતાનો વિષય બન્યો છે. લાંબા રૂટની 20 બસોમાં દરરોજ 1 હજારથી વધુ લોકો જિલ્લામાંથી પલાયન કરી રહ્યા છે. આ સાથે આગામી 5 દિવસ માટે એસટી બસોમાં બુકિંગ પણ ફુલ હોવાનું જાણવા મળ્યું છે.
આગામી 5 દિવસ માટે એસટી બસોમાં બુકિંગ પણ ફુલ
સંજેલી તાલુકામાં જંગલ અને ડુંગર વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ તાલુકામાં મોટાભાગના ખેડૂતોનો જીવન નિર્વાહ ખેતી ઉપર જ ચાલે છે. વધતી જતી મોંઘવારી અને બેકારીને કારણે ઉચ્ચ અભ્યાસ ભણેલા વિદ્યાર્થીઓ અને નવયુવાનો ભરતી કે રોજગારી તકો ઊભી ન થતાં હાલ તેઓ પણ પોતાનું તેમ જ પરિવારનું પેટીયુ રળવા માટે બહારગામ ધંધા-મજૂરી અર્થે જવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા અપાતી 100 દિવસની રોજગાર ગેરંટી પણ કેટલાક લાભાર્થીઓ સુધી પહોંચતી નથી. વિધાનસભાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે.
પરિવારનું પેટીયુ રળવા માટે સૌરાષ્ટ્ર તરફ
વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવાઇ રહ્યું છે, પરંતુ અહીં વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. સંજેલી તાલુકા આસપાસ ગામોમાંથી દરરોજના 1000 જેટલા લોકો પોતાના તેમજ પરિવારનું પેટીયુ રળવા માટે સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં ખેતી તેમજ અન્ય ધંધા રોજગાર કરવા માટે જઇ રહ્યા છે.
કયા વિસ્તારની કેટલી એસટી બસ ફુલ
સંજેલી બસ સ્ટેશન પરથી દરરોજ જામજોધપુરની બે, જામનગરની ચાર કચ્છની ચાર, ઉપલેટા એક, રાજકોટ એક, થરાદ એક, સુરત ત્રણ, અમરેલી એક, ધારી એક અને વિસાવદર બે મળી કુલ 20 જેટલી લાંબા રૂટની એસટી બસો ખીચોખીચ ભરાઈને જઇ રહી છે. મોટાભાગની તમામ બસોમાં ત્રણથી ચાર દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે.
કાલાવડ ખેતી કામ કરવા જઇશું
બેરોજગારી, મોંઘવારી વધતાં પરિવારનું પેટીયુ રળવા માટે જઇ રહ્યા છીએ. અહીં રોજગારીની સુવિધા ન હોવાથી કાલાવાડ ખેતી કામ માટે જવા સોમવારનું બુકિંગ કરાવ્યું છે. > કલ્પેશ ભાભોર ચાકીસણા