ગરીબોને માત્ર એક રૂપિયામાં અપાય છે શિક્ષણ: સ્વામિનારાયણ ગુરુકુળના કાર્યક્રમમાં જુઓ શું બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75મા 'અમૃત મહોત્સવ'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, 'રાજકોટ ગુરુકુળની 75 વર્ષની આ સફર માટે હું આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ સંસ્થાનું ભવિષ્ય વધુ ભવ્ય હશે અને સેવા ક્ષેત્રમાં તેનું યોગદાન અપ્રતિમ હશે.' PM મોદીએ કહ્યું કે, આ સંસ્થા સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને સામાજિક સેવાના અન્ય પાસાઓ જેવા ક્ષેત્રોમાં પ્રશંસનીય કાર્ય કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભગવાન સ્વામિનારાયણના નામના સ્મરણથી જ ઊર્જાનો સંચાર થઈ જાય છે.'
ગુરુકુળએ વિદ્યાર્થીઓમાં સારા વિચારો અને મૂલ્યોનું સિંચન કર્યુંઃ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીજીનું ગુરુકુળ માટે જે વિઝન હતું, તેમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાથી લઈને સંસ્કૃતિ અને સંસ્કાર પણ સમાયેલ હતા. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની યાત્રાના 75 વર્ષ એવા સમયગાળામાં પૂર્ણ થઈ રહ્યા છે, જ્યારે દેશ તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ ગુરુકુળએ વિદ્યાર્થીઓના મન અને મગજમાં સારા વિચારો અને મૂલ્યોનું સિંચન કર્યું છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. અગાઉની સરકારની ગુલામી માનસિકતાએ તેમને ક્યારેય આપણી મહાન શિક્ષણ વ્યવસ્થાનો મહિમા કરવા દીધો ન હતો. સ્વામિનારાયણ ગુરુકુળમાં આપણી પરંપરાઓ અને મૂલ્ય-આધારિત શિક્ષણ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આપણા શિક્ષકો અને સંતોએ જાતે તે જવાબદારી ઉઠાવી.
ભારતને ભારતભૂમિના ગુરુકુળોથી ઓળખવામાં આવતું હતુંઃ મોદી
PM મોદીએ કહ્યું કે, જે સમયગાળામાં વિશ્વના અન્ય દેશોની ઓળખ તેમના રાજ્યો અને શાહી કુળથી થતી હતી, ત્યારે ભારતને ભારતભૂમિના ગુરુકુળોથી ઓળખવામાં આવતું હતું. શોધ અને સંશોધન ભારતની જીવનશૈલીનો એક ભાગ હતા. નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો આપણી ગુરુકુળ પરંપરાના વૈશ્વિક ગૌરવના પર્યાય હતા. તેઓ ભારતીય શિક્ષણ પ્રણાલી માટે માર્ગદર્શક પ્રકાશ હતા. ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ જે આજે આપણે જોઈ રહ્યા છીએ, તેનું જ પરિણામ છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વામિનારાયણ ગુરુકુળમાં ગરીબ વિદ્યાર્થીઓને દરરોજ માત્ર એક રૂપિયો ફી તરીકે ચૂકવવો પડે છે. તે ગરીબો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવે છે.
સંસ્થાની શાળાઓમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ લે છે શિક્ષણ: PM
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને આનંદ છે કે સ્વામિનારાયણ ગુરુકુળ આ પ્રાચીન પરંપરાને, આધુનિક ભારતને આગળ લઈ જવા માટે 'કન્યા ગુરુકુળ'ની શરૂઆત કરી રહ્યું છે. આ માટે હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું. આ સંસ્થાની સ્થાપના 1948માં રાજકોટમાં સંત ધર્મજીવનદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હાલમાં દેશ અને વિશ્વમાં આ સંસ્થાની 40થી વધુ શાખાઓ છે. સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. આ ગુરુકુળ પ્રાથમિકથી લઈને અનુસ્નાતક સુધીનું શિક્ષણ આપે છે.