સિરપે બાળકોનો જીવ લીધો:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી, ત્યાં ઘાતક દવાઓ બની રહી છે; આટલું થયા છતાં કોઈ પ્રતિબંધ નહીં

ભારતીય કંપનીઓનાં કફ-સિરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકનાં મોત થયાં છે. આટલું જ નહીં, આ પ્રકારના કફ-સિરપ ભારતમાં પણ 33 બાળક માટે જીવલેણ સાબિત થયાં છે, પરંતુ એની પર કોઈએ પ્રતિબંધ લગાવ્યો નથી. ભારતીય બજારોમાં હજુ એ વેચાય છે કે નહીં એની કોઈ જાણ નથી.

WHOના એલર્ટ પછી આ કંપનીઓ પર દરોડા મારવામાં આવી રહ્યા છે. બાળકોના કફ-સિરપમાં ડાયથિલીન ગ્લાયકોલ અને ઇથિલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે, જેનાથી કફ-સિરપનો સ્વાદ મીઠો બની જાય છે. જો આ બે સંયોજનની માત્રા વધુ હોય તો એ જીવલેણ બની જાય છે. ગામ્બિયામાં આ જ બન્યું. સિરપ અને કંપનીઓને છોડો આ સંયાજનોના મિશ્રણ પર પણ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. આપણા દેશમાં જાણે મોટી દુર્ઘટના થયા પછી જાગવાનો રિવાજ છે.

જ્યાં સુધી ડ્રગ કંટ્રોલર્સના નેટવર્કની વાત છે કે જેઓ આવી દવાઓને મંજૂરી આપે છે અથવા નામંજૂર કરે છે, એ જાણીતું છે કે તેમનું નેટવર્ક કેટલું મજબૂત છે. જ્યાં અને ત્યાં જંગલી ઘાસની જેમ ઊગતાં દવાનાં કારખાનાંની તપાસ કેવી રીતે કરતા હશે, એ કફ-સિરપના કારણે બાળકોનાં થયેલાં મોતથી જાણી શકાય.