પરિવાર અમદાવાદ જતાં ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું ,રૂા. 5.19 લાખની ચોરી

મૂળ બાલાસિનોરના અને અમદાવાદ સીએની પ્રેકટીસ કરતા યુવકના બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી ખાતર પાડયુ હતુ.પરિવાર અમદાવાદ થી બાલાસિનોર લગ્નપ્રસંગમાં આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. ઘરમાં તપાસ કરતા સોના,ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ 5.19 લાખની મત્તાની ચોરી થઇ હતી. બાલાસિનોર ફૈઝાને એ મદીના સોસાયટીમાં રહેતા ઇમરાન શેખ હાલ અમદાવાદ મુકામે અમદાવાદમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરે છે.તા.29 ડિસેમ્બરના રોજ બપોરે મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા.
દરમિયાન તા.30 ડિસેમ્બરના રોજ મિત્ર કારૂન મલેકનો ફોન આવ્યો હતો અને કહ્યું હતુ કે બાલાસિનોર વાળા ઘરે જમવાનું આમંત્રણ આપવા આવ્યો છુ પરંતુ ઘર બંધ છે માહીર મલેકના ત્યાં રાતના જમવા આવી જજો.આ બાદ તા.2 જાન્યુઆરીના રોજ ઇમરાન શેખ ભાઈ,બનેવી અને બહેન સાથે બાલાસિનોર આવ્યા હતા.
જ્યાં તેમનો ઘરનો મુખ્ય દરવાજો અને પાછળ આવેલ બીજો દરવાજો ખુલ્લો હતો તેથી શંકા જતાં ઘરના તમામ રૂમમાં તપાસ કરતા રૂમોમાં સામાન વેરવિખેર જણાયો હતો તેથી તપાસ કરતા તિજોરી અને કબાટમાં મૂકેલા સોના,ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ 5,19,948 ની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ.આ સમગ્ર બનાવ અંગે બાલાસિનોર પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.