દારૂ પીને મરે તો શું દયા? એક પૈસે વળતર નહીં મળે: વિધાનસભામાં ફરી શું બોલ્યા નીતિશ કુમાર?

65 પહોંચી ગયો મૃતકોનો આંકડો
બિહારમાં લઠ્ઠાકાંડમાં છપરા જિલ્લામાં 59 લોકોના મોત બાદ સીવાનમાં પણ પાંચ લોકોની મોતના સમાચાર સામે આવ્યા છે, બીજી તરફ બેગુસરાયમાં પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છેઃ ત્યારે આંકડો કુલ 65 પહોંચી ગયો છે ત્યારે વિધાનસભામાં ખુરશીઓ પછાડવામાં આવી અને વિપક્ષ દ્વારા સરકારને બરખાસ્ત કરી દેવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
શું કહ્યું નીતિશ કુમારે?
બિહાર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલ હોબાળાની વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે નિવેદન આપ્યું હતું. સત્રમાં નીતિશ કુમારે કહ્યું કે દારૂ પીને મરનાર લોકોને સરકાર કોઈ વળતર આપવાની નથી. તેમણે કહ્યું કે કોઈ દારૂ પીશે અને ખરાબ પીશે તો એ મરશે, જો કોઈ દારૂ પીને મરી જાય તો તેના સામે કોઈ જ પ્રકારની દયા રાખવી જોઈએ નહીં. આપણે લોકોને દારૂ પીવાથી ઈનકાર કરવો જોઈએ.
બીજી તરફ આ સમગ્ર મામલો હાલ તો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો હતો જેમાં એક અરજી કરવામાં આવી છે અને વ્હેલામાં વહેલી તકે સુનાવણી કરવાની હાંકલ કરવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાની ના પાડી.
કાળજું ફાટી જાય તેવું રુદન
બિહારમાં અનેક ઘરોમાં માતમ છે, મહિલાઓ સુહાગની નિશાનીઓ મિટાવીને રોકકળ કરી રહી છે, પિતાનો પડછાયો ગુમાવનારા બાળકો રડી રહ્યા છે અને જવાનજોધ દીકરાઓના મૃતદેહ જોઈને ઘરડી માતાઓ બેભાન થઈ રહી છે, કારણ છે મોતની પોટલી. બિહાર આમ તો ઐતિહાસિક રાજ્ય પણ કાયદો અને વ્યવસ્થાના કારણે આખા દેશમાં બદનામ, નીતિશ કુમાર દારૂબંધી લઈને તો આવ્યા પણ ઝેરી દારૂ પીવાના કારણે થતી મોતને રોકી ન શક્યા.
નીતિશ કુમાર નશામુક્તિના મસીહા બનવા ચાલ્યા હતા
નોંધનીય છે કે વર્ષ 2016માં નીતિશ કુમારે રાજ્યમાં દારૂબંધી કરી નાંખી હતી. જોકે તે બાદથી અનેક વાર દારૂના કારણે જ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ લઠ્ઠાકાંડ બાદથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સડકથી લઈને વિધાનસભા સુધી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે હજુ સુધી પોલીસ એ બતાવવામાં નિષ્ફળ રહી છે કે કાંડમાં મુખ્ય આરોપી કોણ છે.
અસંવેદનશીલતાની હદ
જોકે બિહારના નેતાઓને જાણે આ મોતથી કોઈ ફરક જ ન પડતો હોય તેવા નિવેદન કરી રહ્યા છે, ખુદ મુખ્યમંત્રીએ કહ્યું કે જે પીશે એ તો મરશે જ ને! નીતિશ કુમારે કહ્યું કે બિહારના લોકોએ સાવધાન રહેવું જોઈએ કે દારૂબંધી છે તો નકલી દારૂ વેચાશે, દારૂ ન પીવું જોઈએ. આટલું જ નહીં તેમણે વળતર આપવાની ના પાડી અને કહ્યું કે આવા લોકોને સંવેદના આપી ને સમજાવવા જોઈએ જેથી હવેથી આવું ન થાય.
અસંવેદનશીલતાની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે રાજ્યના એક મંત્રીએ તો એમ કહ્યું કે આપણે ખેલકૂદ કરીને બોડી ફીટ રાખવી જોઈએ, જેથી આવી દારૂથી મોત નહીં થાય.