લગ્નના ભોજને પેટના રોગ વધાર્યા

રાજકોટ શહેરમાં ગત માસે શરદી-ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ હતી. તબીબો આ ઋતુજન્ય રોગચાળો ગણાવે છે પણ છેલ્લા એક સપ્તાહથી શહેરમાં ઝાડા-ઊલટી અને તાવના દર્દીઓની સંખ્યા વધી રહી છે જેમાં ઋતુ અને ખાન-પાન બંને જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં આરોગ્ય કેન્દ્રો અને નાની મોટી ક્લિનિકોમાં ઝાડા, પેટમાં દુખાવો, ઊલટી ઉબકા સહિતની સમસ્યાઓ વધી રહી છે. આ અંગે જનરલ ફિઝિશિયન ડો.રાજેશ ખૂંટે જણાવ્યું હતું કે, તાવ-શરદીના દર્દીઓની સાથે હવે ઝાડા-ઊલટીના કેસ પણ આવી રહ્યા છે. હાલ ઋતુ પરિવર્તન તો છે જ પણ સાથે સાથે લગ્નસરાની સિઝન હોવાથી લોકોને બહાર જમવાનું, ખાવાનું, ઠંડાપીણાનું સેવન વધી જાય છે. આ બહારના ખોરાકને કારણે ચયાપચયની સમસ્યા અને ઈન્ફેક્શનને કારણે પેટના રોગ વધ્યા છે.
જોકે ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત છે. એકાદ બે દિવસ આ સમસ્યા રહે છે અને પછી રાહત થઈ જાય છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, વાઇરલ ઈન્ફેક્શનમાં તાવની સાથે સાથે ઝાડા અને ઊલટી ઉબકાના કેસ આવી રહ્યા છે જોકે તેનું ક્લસ્ટરિંગ હજુ બહાર આવ્યું નથી.
છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં રાહત મળી છે અને હવે ઋતુ ધીરે ધીરે ઉનાળા તરફ ઢળી રહી છે. આમ છતાં તાવ અને શરદીના કેસમાં ઘટાડો જોવા મળ્યો નથી તેવામાં હવે ઝાડા-ઊલટીના કેસ પણ આવી રહ્યા છે. ઉનાળો આવશે એટલે પાણીજન્ય રોગમાં વધારો જોવા મળશે.
એક જ વિસ્તારમાં ઝાડા-ઊલટીના કેસ વધશે તો પાણીના સેમ્પલ લેવાશે
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર એક જ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના કેસ આવે તો તેને ક્લસ્ટરિંગ થયું ગણાય અને તેવા કિસ્સામાં સૌથી પહેલા પીવાના પાણીના સ્ત્રોતના નમૂના લેવામાં આવે છે. પાણીમાં માઈક્રોબિયલનું પ્રમાણ વધારે હોય અને તે પાણી પીવામાં આવે તો તેને કારણે પણ પેટમાં પાચન સંબંધી સમસ્યાઓ થતી હોય છે. હજુ આવું કોઇ ક્લસ્ટર મળ્યું નથી.