‘વોકલ ફોર લોકલ’થી ‘ગ્લોબલ એક્સીલન્સ’ સુધી રાજકોટનું શ્રીરામ એરોસ્પેસ પ્રધાનમંત્રીશ્રીના વિઝનને આપે છે નવી ગતિ
રાજકોટમાં આગામી જાન્યુઆરીમાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે વિકસી રહ્યું છે રાજકોટ
‘વોકલ ફોર લોકલ’થી ‘ગ્લોબલ એક્સીલન્સ’ સુધી રાજકોટનું શ્રીરામ એરોસ્પેસ પ્રધાનમંત્રીશ્રીના વિઝનને આપે છે નવી ગતિ
'મેક ઈન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'નું જીવંત મોડેલ: સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જીનીયરીંગનું કેન્દ્ર બનતું રાજકોટ
સ્ટાન્ડર્ડ એસ.ઓ.પી. મુજબ નિયત ગુણવત્તાયુક્ત ઉત્પાદન થકી વૈશ્વિક કંપની સાથે સહભાગિતા વધારી શકાય છે - શ્રી સંદીપ સતાણી (મેનેજિંગ ડિરેક્ટર, શ્રીરામ એરોસ્પેસ)
આલેખન - રાજ લક્કડ, પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ
રાજકોટ, તા.૭ જાન્યુઆરી – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારત અને ગુવરાત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવાની યાત્રાને વેગ આપી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ૮ થી ૯ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કૉન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સની સાથે જ તા. ૧૧ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.

વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક સ્વદેશી કંપનીઓ રાઇઝિંગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવતું રાજકોટનું હવે વધુ એક ક્ષેત્રે એરોસ્પેસ અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરતુ શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ આગામી સમયમાં એરોસ્પેસ ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવો’, ‘મેક ઈન ઈન્ડીયા’, ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાનની ભાવનાને ખરા અર્થમાં શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ LLP પ્રતિબિંબિત કરે છે. જે સ્થાનિક ક્ષમતાને વર્લ્ડ-ક્લાસ ઔદ્યોગિક શ્રેષ્ઠતામાં રૂપાંતરિત કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી સૌરાષ્ટ્ર એક ઇનોવેશન-ડ્રિવન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે વિકસવા માટે તૈયાર થઈ રહ્યુ છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંદીપ વલ્લભભાઈ સતાણી જણાવે છે કે, અમે અમારી કંપનીની શરૂઆત વર્ષ ૨૦૧૭ માં કરી હતી. અમને શ્રીરામ એરોસ્પેસ થકી ન્યૂ ઇન્ડિયાની ટેક્નોલોજિકલ મહત્વકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. મારા પિતાશ્રી વલ્લભભાઈ સતાણીના માર્ગદર્શન હેઠળ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નિપુણતાનો મજબૂત આધાર ધરાવતી કંપની આજે ભારતમાં આંગળીના વેઢે ગણી શકે એવી સંસ્થાઓમાં સામેલ થઈ છે.

તેઓ ઉમેરે છે કે, અદ્યતન મશીનરી અને 24×7 પાવર-બેક્ડ એસેમ્બલી સુવિધાથી સજ્જ થઈને અમે ગુજરાતના સૌથી આધુનિક અને સુસજ્જ પ્રીસીઝન એન્જિનિયરિંગ ઈકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે આજે વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓ જેવી કે એરબસ, બોઇંગ, રોલ્સ-રોયસ, ડેસોલ્ટ એવિએશન, ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વગેરે માટે અત્યંત મહત્વના એરોસ્પેસ પાર્ટસ સપ્લાય કરવા સક્ષમ બન્યા છીએ.

શ્રી સંદીપ સતાણી વધુમાં જણાવે છે કે, અમારી ટેક્નીકલ ટીમના સહયોગથી ટેક્નોલોજીના સર્વોચ્ચ સ્તરે અલ્ટ્રા-પ્રીસીઝન મશીનિંગ, કોમ્પ્લેક્સ એરોસ્પેસ ટૂલિંગ, હાઈ-સ્ટ્રેન્થ એલોય્સ અને ક્રિટિકલ એસેમ્બલીઝમાં પ્રભુત્વ મેળવ્યું. SAC–ISRO માટે ભારતનું પ્રથમ 6 માઇક્રોન RMS ધરાવતું ટેરા હર્ટ્ઝ એન્ટેના અને નેવિગેશન એન્ટેના પણ વિકસાવ્યું છે. 8-મીટર વિંગ ફિક્ચર્સ, INVAR કોમ્પોઝિટ લેવઅપ ટૂલ્સ અને એરો-એન્જિન પાર્ટસનું નિર્માણ માટે સ્ટ્રેચ-ફોર્મિંગ ડાઇઝ, રિફ્લેક્ટર પેનલ્સ અને અંદાજિત ૩૦૦૦ થી વધુ એરોસ્પેસ ટૂલ્સની ડિલિવરી કરી છે. આ ઉપરાંત, TATA–Airbus C295 વિમાન માટે 11.5 મીટર લાંબા, 25 ટન વજનના અને 15,000+ ભાગો ધરાવતા લેફ્ટ અને રાઈટ વિંગ બોક્સ એસેમ્બલી જિગ્સની સફળ ડિલિવરી કરી શક્યા છીએ.
ભારત વિશ્વના સૌથી મોટા ડિફેન્સ અને એરોસ્પેસ બજારોમાં સામેલ છે, પરંતુ આ ક્ષેત્રમાં ઉચ્ચ મૂડી રોકાણ કરતાં પણ મર્યાદિત પ્રીસીઝન-મશીનિંગ સેટઅપ્સ, અલ્ટ્રા-લાર્જ અને અલ્ટ્રા-એક્યુરેટ મશીનિંગ ક્ષમતાનો અભાવ, સચોટ ગુણવત્તાના નિયમો અને ક્વોલિફિકેશન સાયકલ્સ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે દરેક આફત એક અવસર છે. તેમ જાણીને અમે અલ્ટ્રા-પ્રીસીઝન મલ્ટી-એક્સિસ મશીનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AS9100D સર્ટીફિકેટ સહિતના વૈશ્વિક ધોરણો સાથે સુસંગત મજબૂત ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, એકીકૃત ફેબ્રિકેશન, એસેમ્બલી અને ઇન્સ્પેક્શન ઈકોસિસ્ટમ વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ પર તાલીમ પ્રાપ્ત કુશળ વર્કફોર્સ જાતે તૈયાર કરી છે. તેમ શ્રી સંદીપ સતાણીએ જણાવ્યું હતું.
શ્રીરામ એરોસ્પેસ એ નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જેનું સ્વપ્ન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે. એન્જીનીયરિંગ ક્ષેત્રે રાજકોટના ઘર આંગણે ઇનોવેશન જન્મે છે, જે ગુજરાત ભારતની મેન્યુફેક્ચરિંગ ક્રાંતિનું નેતૃત્વ કરે છે. રાજકોટ સાબિત કરી રહ્યું છે કે, લોકલ ટેલેન્ટ, લોકલ ઉદ્યોગસાહસિકોની સૂઝબૂઝ અને ટેક્નોલોજીના સથવારે ભારતની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓને નવી શક્તિ આપવા સક્ષમ છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦