મેનેજર આપઘાતમાં પત્ની સામે ગુનો નોંધવા વિડીયો ઓડિયો રજૂ

વાપી મહેન્દ્ર કોટક બેંકના મેનેજરના આપઘાતમાં પરિવારે મૃતકની પત્નીના લગ્નેત્તર સંબંધથી અંતિમ પગલું ભર્યું હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરી છે. જેમાં મહત્વના પુરાવા તરીકે મોત પૂર્વે વિડીયો બનાવી તેમાં પત્નીએ કરેલી બેવફાઇની વિગતો કહી છે.

વલસાડના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં રહેતા મહેન્દ્ર કોટક બેંકના મેનેજર કંવલજિતસિંગે ગુરૂવારે બેડરૂમમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મેનેજરના આપઘાત પાછળ તેની પત્ની ભૂમિકા કારણભૂત હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પોલીસ સમક્ષ ભાઇ અમરજિતસિંગે પોલીસમાં આ અંગે નોંધાવેલી ફરિયાદમાં પણ પત્ની ભૂમિકાનું અબ્રામાના બિલ્ડર સાથે એફેર હોવાનું માનવું છે તેવું જણાવ્યું હતું. જોકે, પરિવાર પાસે મરનાર બેંક મેનેજર કંવલજિતસિંગે આપઘાત પહેલા બનાવેલા વીડિયોના પુરાવા હતા જે પોલીસને રજૂ કર્યા છે. જેમાં એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરી છે.
પતિએ મોત પૂર્વે વિડીયો બનાવી તેમાં પત્નીએ કરેલી બેવફાઇની વિગતો કહી
આ વીડિયોમાં મેનેજર કંવલજિત કહેવા મુજબ પત્નીને ભગવાનની જેમ પૂજા કરી છતાં તેણે સનિલ શર્મા સાથે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા સંબંધો છે જેના પુરાવા તેના પાસે છે. તેના કારણે તેને અને 2 બાળકોને છોડી જતી રહેવા બદલ ખુબ ઉંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. નાના બાળકો માટે ફરી ઘરે આવવા સમજાવવા છતાં તેણીએ ઇન્કાર કરી તારી સાથે સંબંધ રાખવા નથી, જઇને મરી જા એવું કહ્યું હતું. તેમ છતાં તેણે પત્નીની નફરત કરી નહિ.
વીડિયો બનાવી બાળકોની સંભાળ રાખવાની પત્નીને આજીજી કરી
મેનેજરે રડતા ચહેરે પત્નીની બેવફાઇ અંગેના નિવેદન સાથે આપઘાત પહેલા આ વીડિયો બનાવી બાળકોની સંભાળ રાખવાની પત્નીને આજીજી કરી હતી. બાળકો માટે ટર્મ પ્લાન અને વીમા પોલીસી વિગેરે પણ છે તેવું પણ જણાવ્યું હતું. આ વિડીયો ન્યાયની ઉમ્મીદ માટે બનાવ્યો છે કવલજિતસિગે કહ્યું હતું. વીડિયો અને ઓડિયો ક્લિપ પરિવારજનોએ રૂરલ પોલીસ સમક્ષ રજૂ કરીને આપઘાત માટે જવાબદાર સામે ગુનો નોંધવા માગ કરી છે. પરિવારે વીડિયો ઓડિયોના પૂરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે ત્યારે પોલીસ પત્ની વિરૂધ્ધ ગુનો દાખલ કરવા શું કાર્યવાહી કરે છે.
યુવકે આપઘાત કરી લેતા પરિવારની હાલત કફોડી બની
તેના પર પરિવારજનોની મીટ મડાઇ છે. માત્ર પત્નીની બેવફાઇના કારણે યુવકે આપઘાત કરી લેતા પરિવારની હાલત કફોડી બની છે. હવે પત્ની સામે પોલીસ યુવકે બનાવેલ વિડીયો અને ઓડિયો પ્રમાણે ગુનો નોંધે તે જરૂરી છે. જેથી સમાજમાં આવા અન્ય કિસ્સાઓ ઉપર લગામ લાગી શકે. અને આ પ્રકારના અસમાજીક તત્વોને સજા મળે.