છૂટાછેડાને યાદગાર બનાવવા પણ વેલેન્ટાઇન ડે પસંદ કરાયો, યુગલ 7 વર્ષે છૂટું થયું

વેલેન્ટાઇ-ડે નિમિત્તે પ્રેમી યુગલ ભેગા જ થાય એવું માની ન લેવું. કેટલાંક સંબંધ એવા હોય છે જે જુદા પડવા માટે પણ યોગ્ય દિવસની રાહ જોતા હોય છે. આવા જ એક કેસમાં દંપતીએ લગ્નજીવન દરમિયાન મનમેળ ન બેસતા સાથે રહેવાય એમ ન હોય રાજીખુશીથી જુદા થવા માટે આ દિવસ પસંદ કર્યો હતો.
પતિ બહાર રહેતા બંને વચ્ચે સતત અંતર વધતું ગયું
પતિ 6-6 મહિના સુધી સતત બહાર રહેતો હોય બંને વચ્ચે સતત અંતર વધતું ગયું હતું. આખરે પત્નીએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. જો કે, પત્નીએ જ રાજીખુશીથી જુદા થવાની વાત કરતા પતિએ સહજતાથી સ્વીકારી લીધી હતી. આ કેસમાં પતિ તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ કહ્યું કે છૂટાછેડા લેવા માટે સમાજિક છોછ અનુભવતા લોકો માટે આ કિસ્સો ધ્યાને લેવા જેવો છે.
નાની-નાની બાબતોએ ઝઘડા થવા માંડ્યા
રાકેશ અને સરીતા (નામ બદલ્યાં છે)ના 2016માં વડોદરા ખાતે લગ્ન થયા હતા. શરૂઆતમાં બંને એકબીજાનો સાથ આપતા. યુવતીનો ઘરના સભ્યો સાથે પણ વ્યવહાર સારો હતો. પતિ અને પત્ની સયમાંતરે ફરવા પણ જતા હતા. જો કે, ધીમે ધીમે બંને વચ્ચે નાની-નાની બાબતોએ ઝઘડા થવા માંડ્યા અને વાતનું વતેસર થતાં 2021માં સરીતાએ કોર્ટમાં કેસ કર્યો હતો.
પતિ ક્રુ મેમ્બર હોવાથી વર્ષમાં 6 મહિના બહાર રહેતો હતો
પતિ ક્રુ મેમ્બર હોય છ-છ મહિના બહાર રહેતા. છતાં કોલ કરીને પત્નીની પૃચ્છા કરતા રહેતા હતા. જો કે, પતિના આવ્યા બાદ પણ ઝઘડો વધતા બંને અલગ રહેતા થયા અને વડોદરા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જ્યારે પતિએ લગ્ન પુન:સ્થાપિત કરવા માટે અરજી કરી હતી. જો કે, પત્નીએ છુટાછેડા જ ડિમાન્ડ કરતા બંને રાજીખુશીથી મંગળવારે વેલેન્ટાઇન ડેના જુદા થવાનો નિર્ણય લીધો હતો.