UP- બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ, 2ના મોત

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 29 લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે રાત્રે 2 વાગ્યે જલાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ લાગવાથી આ અકસ્માત થયો હતો.
ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ડીએમ શશાંક ત્રિપાઠી અને એસપી અર્પિત વિજયવર્ગીય સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ડીએમએ જણાવ્યું કે કેટલાક વાંદરાઓ ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. જેના કારણે કરંટ ફેલાયો અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.