બે ઇટાલીયનો પોતાનું પીંડદાન કરી સાધુ બન્યા; મેળામાં પ્રથમ વખત ઇટાલીના રોમથી 2 સાધુ આવ્યા

ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળામાં દેશ- વિદેશથી સાધુ, સંતો આવી રહ્યા છે. દરમિયાન ઇટાલીના રોમથી શિવાની ભારતી અને અમર ભારતી નામના 2 સાધુ પણ આવ્યા છે. તેઓ સતત આખો દિવસ ઓમ નમ: શિવાયના જાપ જપતા રહે છે. આ અંગે અમરભારતીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત જૂનાગઢના મહા શિવરાત્રિના મેળામાં આવ્યો છું.
ખાસ કરીને અલ્હાબાદમાં તો કુંભનો મેળો યોજાય છે સાથે જૂનાગઢમાં મિનીકુંભ યોજાય છેે, એવું જાણ્યા બાદ પ્રથમ વખત જૂનાગઢ આવ્યા છીએ. અહિં તપસ્વિ લોકોની ભૂમિ હોય મેળો કરવા આવ્યો છું. મેં 4 વર્ષ પહેલા દિલ્હીના વિશ્વંભર ભારતી બાપુ નામના સાધુ પાસેથી દિક્ષા લીધી છે. નેપાળ, શ્રીલંકા બાદ ભારતના ધાર્મિક સ્થાનોના ભ્રમણમાં નિકળ્યા છીએ.
ખાસ કરીને અનેક દેશોમાં આધ્યાત્મિક લોકોના સત્સંગમાં આવ્યા છીએ પરંતુ હવે સમજાયું છે કે, તમામ ધર્મોનું મૂળ સનાતન ધર્મ છે. ભારત આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર ધરાવતો દેશ છે. દરમિયાન તેમના પૂર્વાશ્રમ અંગે પૂછતા વો મર ગયા એવું જણાવી જૂની ઓળખ ફરી તાજી કરવા માંગતા ન હોય તેમ જણાયું હતું.