રાજકોટમાં આપઘાતના બે બનાવ

રાજકોટ જિલ્લામાં ગુરુવારે આપઘાત એક સાથે બે બનાવ સામે આવ્યા હતા. જ્યાં પ્રથમ કિસ્સામાં શિવપરામાં રહેતા આધેડે આર્થિકભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. જ્યારે અન્ય કિસ્સામાંન્યારા ગામે પરિણીતાએ વખ ઘોળી અંતિમ પગલું ભર્યું હતું. જેને પગલે આપઘાતનું કારણ જણાવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવક મજુરી કામ કરી ગુજરાન ચલાવતો
રાજકોટ શહેરના રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતા જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જીતેન્દ્રસિંહ જાડેજા બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો અને મજુર કામ કરી ગુજરાન ચલાવતો હતો. જીતેન્દ્રસિંહ જાડેજાને કામધંધો નહીં મળતા આર્થિકભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ ટીમે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાના લગ્ન 7 વર્ષ પૂર્વે થયા હતા
પડઘરી તાલુકાના ન્યારા ગામે રામભાઇ વાડોદરની વાડીએ ખેતમજુરી કામ કરનાર જયોતી સુરેશભાઇ અમલીયાર (ઉ.વ 24) નામની પરિણીતાએ વહેલી સવારે વાડીએ કોઇ કારણસર ખડમાં નાખવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામા આવી હતી. અહીં સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું. પરિણીતાનો લગ્નગાળો સાત વર્ષનો હોવાનું અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેણીએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો પણ અજાણ હોય પોલીસે પરિણીતાના આપઘાતનું કારણ તપાસ હાથ ધરી છે.