જેતપુર પંથકની તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનારા બે વિધર્મીની ધરપકડ કરાઇ

જેતપુર તાલુકાના ગામની તરુણીનું અમરેલીના બે મુસ્લિમ યુવાનએ અપહરણ કરી દુષ્કર્મ કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. લવજેહાદના આ બનાવમાં અપહરણ કરનાર બંને વિધર્મી યુવાન તરુણીને પરત મૂકવા આવ્યા ત્યારે એ સમયે તરુણીના પિતાએ યુવાનોની મદદથી બંનેને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા.
લવજેહાદના બનાવો શહેરી વિસ્તાર પૂરતા મર્યાદિત રહ્યા નથી પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લવજેહાદે પગપેસારો કર્યો છે. જેમાં જેતપુર તાલુકાના એક ગામની તરુણી એકાદ વર્ષ પૂર્વે અમરેલીના લોહાણા મહાજન વાડી સામે, બહારપુરા, ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા સાહિલ કયુમભાઈ પરમાર ઉ.વ. 27 નામના મુસ્લિમ શખ્સ સાથે સોશ્યલ મીડિયાની મદદથી સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ સાહિલે તરુણીના મોબાઈલ નંબર મેળવી તેણી સાથે વાતો ચાલુ કરી હતી. ત્યારબાદ તરુણીના ભોળવીને તેણીને ગામની એક દરગાહે બોલાવી હતી અને સાહિલ ત્યાં તેણીને મળ્યો હતો.
બાદમાં કોઇ પણ રીતે તરૂણીને ભોળવી પોતાના મિત્ર અમીર અલ્તાફભાઈ ચૌહાણ સાથે કારમાં આવી તરુણીનું અપહરણ કરી ગયો હતો અને તેણીને જેતપુર રાજકોટ રોડ ચરખડી ગામના પાટીયા પાસે આવેલા ઋષિ ગેસ્ટ હાઉસ પર લઈ જઈ ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને તેણીને લઈને પરત આવતો હતો ત્યારે તરુણીના ગામના ત્રણે યુવાન તરુણીને કારમાં જોઈ જતાં કાર પાછળ મોટર સાયકલ દોડાવી ઓવરટેક કરી કાર આડે મોટર સાયકલ રાખીને થોભાવીને તરુણીને બહાર કાઢી તેણીના પિતાને જાણ કરી હતી.