બિહારમાં ટ્રકે રિક્ષાને કચડી નાખી, એક જ પરિવારના 8ના મોત, ટ્રેનમાં બેસવા જઈ રહ્યાં હતા

બિહારના કટિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માત એન.એચ. 81 પર કોધા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘારી ખાતે થયો હતો. જાણકારી અનુસાર ઓટો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે જ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલ મૃતકની ઓળખ મળી રહી છે.
તમામ મૃતકો એક જ પરિવારના
અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને તેઓ ક્યાંક જવા માટે ટ્રેન પકડવા માટે જતા હતા ત્યારે ટ્રકે તેમની રિક્ષાને કચડી નાખી હતી. અકસ્માત બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ પણે ઠપ થઈ ગયો છે.
યુપીના ઉન્નાવમાં બસનો એક્સિડન્ટ ચાર લોકોના મોત
સોમવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર આગ્રાથી લખનઉ જઈ રહેલા ડીસીએમ સાથે સવારે 4 વાગ્યે પાછળ ચાલતી સ્લીપર બસ ટકરાઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ સાથે જ 10થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.