ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપ, મેઘાલયમાં અસ્પષ્ટ જનાદેશ

પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સોમવારે જાહેર થયાં હતાં. જેમાં ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં ભાજપને 45 ટકા મત મળી શકે છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 60 બેઠકો છે. વિભિન્ન એક્ઝિટ પોલની સરેરાશના આધાર પર ત્રિપુરામાં ભાજપને 31, લેફ્ટ ફ્રન્ટને 15 બેઠક મળવાનું અનુમાન છે. કોંગ્રેસ ખાતુ પણ નહીં ખોલાવી શકે તેવું અનુમાન છે.
જ્યારે નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમત મળે તેવું અનુમાન છે. ભાજપ-એનડીપીપી ગઠબંધનને વિધાનસભાની કુલ 60 બેઠકમાંથી 42, કોંગ્રેસને 1 અને એનપીએફને 6 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે મેઘાલયમાં અસ્પષ્ટ જનાદેશનું અનુમાન જાહેર કરવામાં આવ્યો છે. મેઘાલયમાં એનપીપીને 20 જ્યારે ટીએમસીને 11 અને ભાજપ 6 બેઠક મળે તેવી શક્યતા છે. જ્યારે સરકાર રચવા માટે 31 બેઠકો જોઈએ છે.
નોંધનીય છે કે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય તેમજ નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ત્રણેય રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.