કાલે શિવરાત્રી - શનિ પ્રદોષ-શ્રવણ નક્ષત્રનો સંયોગ

કાલે શનિવારે શિવરાત્રી છે. આ વખતે શનિ પ્રદોષ તથા શ્રવણ નક્ષત્રનો સંયોગ છે. શિવરાત્રીએ રાત્રિના ચાર પ્રહરની પૂજા કરવી ઉત્તમ છે. શહેરના વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમ, શિવજીને વિશેષ શણગાર કરવામાં આવશે. વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોશીના જણાવ્યાનુસાર શિવપૂજામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા આવી જાય છે. સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બીલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે સર્વમનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળા તલ, સુખી દાંપત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબિટીસ જેવી બીમારી દૂર ઓછી કરવા શેરડીના રસથી પૂજા કરવી જોઈએ. નિશિથ કાળ રાત્રે 12.37 થી 1.25 સુધી છે. આ સમયે પૂજા કરવી ઉત્તમ છે.
રાત્રીના ચાર પ્રહરની પૂજા
પહેલો પ્રહર : સાંજે 6:45થી 10: 6
મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન, ચોખા કમળ, કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમાં પકવાન ધરાવવો
બીજો પ્રહર : રાત્રે 10.06 થી 1.07
મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું.
ત્રીજો પ્રહર : રાત્રે 1.07 થી 4.08
મહાદેવજીને દૂધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો અર્પણ કરવા તથા માલપૂઆનું નૈવેદ્ય ચૂરમાના લાડુ ધરવા. બીલીપત્ર અર્પણ કરવા.
ચોથો પ્રહર : રાત્રે 4.08 થી 7.17
જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બીલીપત્ર ચડાવવા દૂધની મિષ્ટાનનું નૈવેદ્ય ધરાવું.
રાશિ પ્રમાણે નૈવેદ્ય ધરાવવા તથા પૂજા કરવી
મેષ : શેરડીના રસથી તથા સુખડીનું નૈવેદ્ય ધરાવવું.
વૃષભ : સાકરવાળા પાણીથી, પેંડાનું નૈવેદ્ય ધરાવવું.
મિથુન : કાળા તલથી તથા દૂધથી શકરિયાનો શીરો ધરાવવો.
કર્ક : દૂધથી તથા સાકરવાળા પાણીથી નૈવેદ્યમાં રાજગરાનો શીરો ધરાવવો.
સિંહ : ઘી તથા ચણાની દાળથી ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવેદ્ય ધરાવવું.
કન્યા : મધથી તથા દૂધથી નૈવેદ્યમાં દૂધપાક ધરાવવો.
તુલા : શેરડીના રસથી, દૂધની મીઠાઇ ધરાવવી.
વૃશ્ચિક : બીલીપત્ર તથા દૂધથી નૈવેદ્યમાં તલની વસ્તુ ધરાવવી.
ધન : શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી, નૈવેદ્યમાં અડદિયા ધરાવવા.
મકર : કાળા તલથી અભિષેક કરવો, માલપૂઆ ધરાવી શકાય.
કુંભ : કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદિયા ધરવા.
મીન : ઘી તથા દુર્વાથી તથા દૂધથી અભિષેક, નૈવેદ્યમાં પીળી મીઠાઈ.