કરડતા શ્વાનોની આક્રમકતા ઘટાડવા રિહેબ સેન્ટર, 25 દિવસથી દોઢ માસ રાખી ‘ફ્રેન્ડલી’ બનાવાઈ છે

રાજકોટ શહેરમાં ડોગબાઈટના કિસ્સા વધી રહ્યા છે. આવી જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરોમાં પણ છે. શ્વાનો કરડે છે તેમા અનેક કારણો આપવામાં આવ્યા છે ખાસ કરીને હાલ ગરમીમાં થયેલો અચાનક વધારો પણ ગણાયો છે. જોકે આવા આક્રમક શ્વાનોનું શું કરવું તે સમસ્યા લોકોને મૂંઝવી રહી છે ત્યારે રાજકોટમાં એક એવું રિહેબ સેન્ટર ચાલી રહ્યું છે જેને ડોગ ફ્રેન્ડલી સેન્ટર નામ અપાયું છે. આ સેન્ટરનું કામ લોકોને કરડતા આક્રમક શ્વાનોને રાખીને તેમને શાંત બનાવી ફરીથી મૂળ સ્થળે મૂકવાનું છે.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી ડો. જાકાસણિયાના જણાવ્યા અનુસાર જ્યારે પણ ઋતુ પરિવર્તન આવે અને ગરમીમાં વધારો થાય એટલે રખડતા શ્વાનો માટે આ ગરમી થોડી વધારે પડતી લાગે છે. તેમને ઠંડી જગ્યા શોધવી પાણી શોધવું પડે છે આ કારણે શ્વાનો પણ સ્ટ્રેસમાં આવી જતા સ્વભાવ આક્રમક થાય છે. ખાસ કરીને બપોર પછી શ્વાનોને લૂ લાગી હોય તડકો લાગ્યો હોય ત્યારે આવા બનાવ બને છે. થોડા દિવસ બાદ ઉનાળાની ઋતુમાં તાપમાન સ્થિર થશે એટલે બનાવ ઘટશે.
ડો. જાકાસણિયા જણાવે છે કે, કોઇ વિસ્તારમાં ડોગબાઈટનો કેસ બન્યો હોય અને તેની જાણ કરવામાં આવે એટલે ટીમ સ્થળ પર જઈને ડોગબાઈટની વિગત લઈને શ્વાનની ઓળખ મેળવે છે. ત્યારબાદ આ શ્વાનને પકડીને ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર પર લઈ અવાય છે. અહીં તેને સૌ પ્રથમ એક નાના પીંજરામાં રખાય છે જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી અપાય છે તેમજ માનવ વસાહતથી દૂર હોવાથી તેને વાતાવરણ પણ શાંત મળે છે.
થોડા દિવસ પાંજરામાં રાખ્યા બાદ તેને મોટા પાંજરામાં અન્ય શ્વાનો સાથે અને ત્યારબાદ ખુલ્લા કમ્પાઉન્ડમાં મુકાય છે. ધીરે ધીરે અલગ અલગ કર્મચારીઓ રહીને શ્વાનના મનમાંથી તાણ અને લોકો પ્રત્યેનો અણગમો દૂર કરાય છે. આ પ્રક્રિયામાં 25 દિવસથી માંડીને 1.5 મહિનો થાય છે. શ્વાન ફ્રેન્ડલી બને અને શાંત થઈ જાય એટલે ફરીથી તેને તેના વિસ્તારમાં છોડી દેવાય છે. કારણ કે, શ્વાનોને એક સ્થળેથી પકડી બીજા સ્થળે ખસેડવા પર પ્રતિબંધ છે. જ્યાં શ્વાન કરડતા હોય અને પકડવા માટે ફોન કરે તેમણે ડોગબાઈટની સારવારના કેસ પેપર સાથે રાખવા પડે છે.
હાલ 9 શ્વાન થઈ રહ્યા છે ‘ફ્રેન્ડલી’
શ્વાનોને લાવીને સૌથી પહેલા નાના પીંજરામાં રાખવામાં આવે છે ત્યારબાદ મોટા પાંજરામાં અન્ય શ્વાનો સાથે રાખીને ધીરે ધીરે શાંત કરીને બાદમાં લોકો સાથે રહેતા શીખવવામાં આવે છે. શ્વાનોના રિહેબ સેન્ટરમાં અત્યારે એવા 9 શ્વાનની સારવાર ચાલી રહી છે જેમણે બચકાં ભર્યાં છે. સેન્ટરમાં શ્વાનોને સાચવવા માટે કુલ 32 પાંજરા છે