બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા યુવકે બેકારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ ખેરડીના યુવકે વખ ઘોળી આપઘાત કરી લીધો હતો. ભારતીનગરમાં રહેતા વિજયસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.40) રવિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પોતાના રૂમનું બારણું અંદરથી બંધ કરી ઓછાડ પંખાના હૂકમાં બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં વિજયસિંહ બહાર નહીં આવતા પરિવારજનોએ બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતા બારણું તોડતાં જ વિજયસિંહનો લટકતો દેહ નીચે જોવા મળ્યો હતો,
વિજયસિંહને નીચે ઉતારી પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ ક્રિશ્ચિયન સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના બાદ ધંધો સારી રીતે ચાલતો નહોતો અને બેકારીની સ્થિતિને કારણે વિજયસિંહ ચિંતામાં રહેતા હતા અને તે કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. યુવકના આપઘાતથી તેની બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગોહિલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.