કિડનીની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લેનાર પ્રૌઢને ધમકી

જામનગર રોડ, પરસાણાનગર-9માં રહેતા ધીરજલાલ અરજણભાઇ કબીરા નામના પ્રૌઢે રાજકોટના નિલેશ જોશી, તેના ભાઇ વિશાલ જોશી, રૂમેશ સવજી પરસાણા અને દીપક શંકર ગોહેલ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રૌઢની ફરિયાદ મુજબ, 2018માં તેમની બંને કિડની ફેલ થઇ જતા તેની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થઇ હતી. જેથી નિલેશ અને વિશાલ પાસેથી રૂ.5 લાખ, રૂમેશ પરસાણા પાસેથી રૂ.8 લાખ અને દીપક ગોહેલ પાસેથી રૂ.1.50 લાખ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે રૂપિયા લીધા બાદ તમામને સમયસર વ્યાજની રકમ ચૂકવતો હતો. દરમિયાન કોરોનાનો કપરો કાળ આવતા આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ જતા પોતે ચારેય શખ્સને રકમ ચૂકવી શકતા ન હતા.
જેને કારણે ચારેય વ્યાજખોર રોજ ફોન પર તેમજ ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડી ધમકી આપતા રહેતા હતા. એટલું જ નહિ નિલેશ અને તેના ભાઇ વિશાલે પોતાના મકાનના સાટાખત પણ કરાવી લીધા હતા. જે તે સમયે બંને ભાઇઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા તે સમયે સહી કરેલા કોરા ચેક લીધા હતા. જે ચેક જાણી જોઇને બેંકમાં નાંખી ચેક બાઉન્સ કરાવી પોતાના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. અંતે કંટાળીને પ્રૌઢે ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.