અમરનાથ યાત્રામાં 18 કિમીના માર્ગમાં 15 નો-સ્ટે ઝોન બનશે

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા જૂનના અંતમાં શરૂ થનાર અમરનાથ યાત્રાને આ વખતે શ્રદ્ધાળુઓ માટે વધારે સુરક્ષિત બનાવવા માટેની કવાયત પહેલાંથી જ શરૂ કરી દેવાઇ છે. આશરે 14થી 18 કિલોમીટર લાંબા અમરનાથ યાત્રા માર્ગ પર આ વખતે 15 નો-સ્ટે ઝોન બનાવાશે. ભૂસ્ખલનના જોખમવાળા ઓળખી કાઢવામાં આવેલા આ નો-સ્ટે ઝોનમાં ટેન્ટ, દુકાનો અને લંગર ગોઠવવા માટેની કોઇને મંજૂરી આપવામાં આવશે નહીં.
આશરે બે મહિના સુધી ચાલનારી આ યાત્રાના માર્ગમાં પરિસ્થિતિ મુજબ નો-સ્ટે ઝોનની સંખ્યા વધારી શકાય છે. ગયા વર્ષે અમરનાથ યાત્રામાં 3.65 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
આ છેલ્લાં છ વર્ષની રેકોર્ડ સંખ્યા હતી. ગયા વર્ષે જુલાઇમાં અમરનાથ ગુફાની પાસે એક છાવણી ભૂસ્ખલનના લપેટમાં આવી જતા 17 શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડ જેવી ઘટનાઓને ધ્યાનમાં લઇને જરૂરી સાવચેતીનાં પગલાં નહીં લેવાના કારણે વ્યાપક ટીકા પણ તંત્રની થઇ હતી. સાથેસાથે વિવિધ સ્થળો પર દુકાનો અને ટેન્ટ ગોઠવવાની મંજૂરી આપવા બદલ તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી.
ફૂટઓવરબ્રિજ બનાવાશે, ફેન્સિંગ અને સ્લોપને વ્યવસ્થિત કરાશે
અમરનાથયાત્રા માર્ગમાં આ વખતે વધારે ફૂટઓવરબ્રિજ બનાવાશે. સાથે જ ફેન્સિંગને પણ વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. જોખમી યાત્રા માર્ગમાં ઓળખી કઢાયેલા સ્લોપને મજબૂત કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ અરુણકુમાર મહેતાએ કહ્યું છે કે સુપ્રીમકોર્ટ તરફથી જારી કરાયેલા નિર્દેશો મુજબ વ્યવસ્થાને મજબૂત કરાશે.
સુરક્ષિત યાત્રા માટે આ પણ પગલાં...
- અમરનાથયાત્રા માર્ગથી બરફને દૂર કરવાની કામગીરી 15મી માર્ચથી શરૂ કરાશે. એપ્રિલના અંત સુધી સમગ્ર યાત્રામાર્ગથી બરફને દૂર કરી દેવાશે.
- સુરક્ષાની દ્રષ્ટિથી દરેક યાત્રી અને વાહનોની રેડિયો ફ્રીક્વેન્સિંગ ટેગિંગ કરાશે. આના કારણે તેમના યોગ્ય લોકેશનને ટ્રેક કરી શકાશે.
- કોઇ આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં લઇને પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષાદળોને શ્રદ્ધાળુઓના દરેક જથ્થાની સાથે રવાના કરાશે.
એડવાઇઝરી : પ્રાણાયામને લઇને અભ્યાસ કરવા સૂચન
યાત્રા શરૂ થવાથી એક મહિના પહેલાંથી પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવા માટે શ્રાઇન બોર્ડની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે. 15 હજાર ફૂટની ઊંચાઇ પર યાત્રા માટે ફિટનેસ જરૂરી છે. દરરોજ પાંચથી છ કિમી ચાલવાની સલાહ અપાઈ છે.