પીવાના પાણીના નેઠા નથી'ને અંધારિયા વાડ વિસ્તારમાં ગટરનું પાણી ફરી વળ્યું, લોકો માટે શ્વાસ લેવા બન્યા મુશ્કેલ

ધોરાજીની જનતાના ભાગ્યમાં જાણે કષ્ટોને વેઠવાનું લખાયું હોય તેમ ધોરાજી પાલિકાના ‘અંધેર’ વહીવટને પગલે ભર ઉનાળે પીવાના પાણીના નેઠા નથી અને અંધારિયા વાડ વિસ્તારમાં ગટરનું પાણી ફરી વળતા લોકો માટે શ્વાસ લેવા મુશ્કેલ બન્યા હતા.
આંદોલનની ભાષા જ બોલવી પડશે
ધોરાજીના અંધારિયા વાડ વિસ્તારમા ગટરના પાણી રોડ પર આવી જતાં સ્થાનિક લોકોને શ્વાસ પણ લેવામાં તકલીફ સર્જાઇ રહી છે. આથી રોગચાળો ફાટી નિકળે તે પહેલાં યોગ્ય પગલાં લેવાની ગંભીરતા પાલિકા સમજે તેવી લોકોની માગણી અને લાગણી છે અન્યથા આંદોલનની ભાષા જ બોલવી પડશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે.

લોકોને હાલાકી વેઠવી પડી
આ અંગે સ્થાનીક રહીશો એ જણાવ્યું હતું કે ધોરાજીના અંધારિયા વાડ વિસ્તારમા ગટરના પાણી રોડ પર છલકાઈ જતાં આ વિસ્તારની બજારમાં ગટરના દુર્ગંધ મારતા પાણી ફેલાઈ જવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.અંધારિયા વાડ વિસ્તારમા લઘુમતી સમાજનો વસવાટ વધુ પ્રમાણમાં છે. આ વિસ્તારમાં મસ્જિદ પણ આવેલી છે.

નમાઝ અદા કરવા ગટરના પાણીમાંથી ચાલવા મજબુર
રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. જેમાં રોઝેદારો ખુદાની બંદગી અને રોઝા રાખી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમા ગટરના ગંધાતા પાણી ફેલાઈ જતાં રોઝેદારોને મસ્જિદ સુઘી નમાઝ અદા કરવા આવા ગટરના પાણીમાંથી ચાલવા મજબુર થવું પડે છે. જેથી લોકોની લાગણી દુભાઈ રહી છે આ વિસ્તારનાં રહીશોએ રોષ સાથે સ્થાનીક તંત્ર વાહકો ની કામગીરી પરત્વે રોષ સાથે વ્યવસ્થામાં સુધાર કરવા માગણી કરાઈ છે તંત્ર વાહકો દ્વારા વહેલી તકે સમસ્યા હલ કરાઈ તેવી લોક માંગ ઉઠી છે.