પુલ પર ફરવા ગયેલો નિંગાળાનો યુવક હજુ લાપતા!

મોરબીમાં રવિવારે સાંજે બનેલી ગોઝારી દુર્ઘટનામાં ઝૂલતા પુલ પરથી અનેક લોકો નદીમાં પટકાયા હતા, નદીમાંથી 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, નદીમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હવે કોઇ લાપતા નહીં હોવાના તંત્ર દ્વારા હોકારા કરવામાં આવી રહ્યાં છે ત્યારે મોરબીમાં રહેતા આધેડ મોબાઇલમાં તેના ભત્રીજાની તસવીર સાથે ઠેરઠેર અથડાઇ રહ્યાં છે અને તમામ લોકોને એક જ વાત પૂછી રહ્યાં છે કે, પુલ પર મારો ભત્રીજો પણ ફરવા ગયો હતો અને એ દિવસથી તે લાપતા છે કોઇએ તેને કે તેના મૃતદેહને જોયો છે? આ આધેડની વ્યથા તંત્રવાહકોને સમજાતી નથી અને તેમને ઉદ્ધતાઇથી જવાબ આપીને રવાના કરી દેવામાં આવે છે.
મોરબીમાં રહેતા શક્તિસિંહ વાળા રવિવાર રાતથી સરકારી હોસ્પિટલ અને દુર્ઘટના જ્યાં ઘટી તે ઝૂલતા પુલ નજીકના સ્થળે આંટા મારી રહ્યાં છે પરંતુ તેને સાંભળનાર કોઇ નથી. શક્તિસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગઢડાના નિંગાળા ગામે તેના ભાઇ ધર્મેન્દ્રસિંહ વાળા અને તેનો પરિવાર રહે છે, દિવાળીની રજા પર તેનો ભત્રીજો ખોડુભા ધર્મેન્દ્રસિંહ વાળા મોરબી તેમના ઘરે આવ્યો હતો, રવિવારે સાંજે ખોડુભાને ઝૂલતા પુલે કાકા શક્તિસિંહ પોતે મૂકવા ગયા હતા
ખોડુભા પરત આવી જશે તેમ કહેતા કાકા શક્તિસિંહ ત્યાંથી રવાના થઇ ઘરે પહોંચ્યા તેની થોડી જ મિનિટો બાદ તેમને જાણવા મળ્યું હતું કે, ઝૂલતો પુલ તૂટ્યો છે, અને અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે, શક્તિસિંહ ઝૂલતા પુલે પહોંચ્યા તો ત્યાં તેમને સાંભળનાર કોઇ નહોતું, નદીમાંથી જે લાશ બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલાતી હતી તે જાણીને હોસ્પિટલે પહોંચ્યા અને મોબાઇલમાં તેના ભત્રીજા ખોડુભાની તસવીર ડોક્ટર અને અન્ય સ્ટાફને બતાવીને ખોડુભાની માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હતા પરંતુ લાપતા ખોડુભાની ભાળ મંગળવાર સાંજ સુધી મળી નથી. દુર્ઘટનામાં હવે કોઇ લાપતા નથી તેવું સરકારી અધિકારીઓ કહી રહ્યાં છે ત્યારે શક્તિસિંહ વાળાની વ્યથા હજુ પણ નદીમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરે છે.