બજેટ પહેલા ટીમ મોદીમાં ફેરબદલની શક્યતા, ચૂંટણી કેલેન્ડર માટે ભાજપ થઈ રહી છે તૈયાર

2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્ર પહેલા પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક સાંસદોને પણ પીએમ મોદીની ટીમમાં એન્ટ્રી મળી શકે છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ગત વર્ષે 08 જૂને ફેરબદલ કરવામાં આવ્યો હતો.
આગામી વિધાનસભાની ચૂંટણી પર જોવા મળી શકે છે અસર
એક મીડિયા રિપોર્ટ અનુસાર, PM મોદી મકર સંક્રાંતિ અને બજેટ સત્ર વચ્ચે મંત્રીઓના નામોમાં ફેરફાર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન સ્તર પર થનારા ફેરફારો સાથે જોડાયેલા હોઈ શકે છે. સાથે જ 2023માં થનારી વિધાનસભાની ચૂંટણી પર પણ આ સંભવિત ફેરબદલની અસર જોવા મળી શકે છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, સંભવિત ફેરબદલ માત્ર મંત્રીઓની કામગીરીના આધારે જ નહીં, પરંતુ અન્ય યોગ્ય સાંસદોને પણ તક આપીને કરવામાં આવશે. તેના દ્વારા મંત્રીમંડળમાંથી મુક્ત થનારા નામ સંગઠનમાં પાર્ટી માટે કામ કરી શકશે.
આ વખતે પણ થઈ શકે છે મોટા પાયે ફેરફાર
ગયા વર્ષે થયેલા ફેરબદલમાં ટીમ મોદીમાં 12 મંત્રીઓને બદલી નાખવામાં આવ્યા હતા. શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પણ ફેરફાર મોટા પાયે થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં લોકસભાનું પ્રતિનિધિત્વ વધી શકે છે અને નીચલા ગૃહના સભ્યોને મહત્વપૂર્ણ જવાબારી સોંપવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ રાજ્યના કેટલાક સાંસદોને તક મળી શકે છે. પાર્ટીના નેતાઓએ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે લાંબી બેઠક કરી છે. સંભાવનાઓ છે કે મંત્રી પરિષદમાં મહિલાઓ અને આરક્ષિત વર્ગની સંખ્યા વધી શકે છે.