આંગળિયાતના ભરણપોષણની જવાબદારી નવા પતિની છે

પુનર્લગ્ન કરનાર પરિણીતાના આંગળિયાત સંતાનની જવાબદારી નવા પતિ પર આવતી હોવાનું ખાધાખોરાકીના 1 કેસમાં ફેમિલી કોર્ટે ચુકાદો આપી રાજકોટ ડેરીમાં નોકરી કરતા ભરતસિંહ લખુભા ઝાલાને પત્ની તેમજ બે આંગળિયાત સંતાનને મહિને રૂ.14 હજારની ખાધાખોરાકી ચૂકવવા હુકમ કર્યો છે.
કોઠારિયા રોડ, હુડકો ચોકડી પાસે હાલ બે સંતાન સાથે માવતરે રહેતી નિતુબાની ફરિયાદ મુજબ, ભરતસિંહ ઝાલા સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સંતાનોને સાથે લઇ ગયા હતા. બંને વચ્ચે અણબનાવ બનતા નિતુબા તેમના બંને સંતાનોને લઇ માવતરે પરત ફર્યા હતા. ત્યારે પોતાનું તેમજ બંને સંતાનોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તા.7-1-2020ના રોજ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અરજીમાં પતિએ આંગળિયાત પુત્રોની જવાબદારી સ્વીકારી હોવાના સોગંદનામા દસ્તાવેજો સામેલ કર્યા હતા. પરિણીતાના પક્ષે રોકાયેલા એડવોકેટ અંતાણીએ આંગળિયાત સંતાનોના જવાબદારી અંગે રજૂઆત કરતા બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ફેમિલી કોર્ટે આંગળિયાત સંતાનોના ભરણપોષણની જવાબદારી નવા પતિની હોવાની ટકોર કરી ભરતસિંહને પત્ની નિતુબાને દર મહિને રૂ.14 હજારની ખાધાખોરાકી ચૂકવવા હુકમ કર્યો છે.
બોગસ સર્ટિ. ના કેસમાં આરોપીના આગોતરા જામીન રદ
રૈયા રોડ, ડ્રીમ સિટી કોમ્પ્લેક્સને ફાયર એન્ડ સેફ્ટીનું એનઓસી મેળવવા માટે મનપા તરફથી નોટિસ આપવામાં આવે નહિ ત્યાર બાદ મનપા દ્વારા સૂચનો અપાયા હતા. જેમાં બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના બાટલાઓને 3 વર્ષ વીતી ગયા હોય તમામ બાટલાને ફરી રીફિલિંગ કરાવી તેનો હાઇડ્રો ટેસ્ટની સૂચના RMCએ આપી હતી. જેથી બિલ્ડિંગ એસો. દ્વારા શ્રીજી ફાયર એન્ડ સેફ્ટીના માલિક એકતાબેન બોરડને જાણ કરી હતી.
જેથી તેમણેે બાટલા ફેલ થયા હોવા છતાં ચાલે તેવા છે તેવું ખોટું સર્ટિફિકેટ આપી દીધું હતું. જેથી પ્રમુખ અમિતભાઇ બિપીનભાઇ ઠાકરે એડવોકેટ વૈશાલી વિઠ્ઠલાણી મારફતે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા સંચાલકે ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરી છે.