જેતપુરમાં સાર્વજનિક બાગની દીવાલ પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું

જેતપુરના રૈયારાજનગરમાં આવેલા માધવ પાર્કના સાર્વજનિક બગીચા પર એક પરિવારે કબજો જમાવી લીધાના બનાવમાં કાર્યવાહી કરાઇ હતી અને નગરપાલિકા દ્વારા કમ્પાઉન્ડ વોલનું ડિમોલિશન કરી સ્થાનિકો માટે ખુલ્લો મુકાયો હતો.
કેનાલ કાંઠે આવેલા રૈયારાજનગરના માધવ પાર્કમાં રૈયાણી પરીવાર દ્વારા બિનખેતી કરવામાં આવેલ અને બિનખેતીમાં સાર્વજનિક પ્લોટ પોતાના પરીવારની પ્લોટની વચ્ચે આવે તે રીતે પ્લોટીંગ કરાયું હતું અને તમામ પ્લોટ વેચાઇ ગયા બાદ બગીચો બનાવી ખાનગી હોય તે રીતે ત્યાં લોખંડના દરવાજા મૂકી દેવાયા હતા.
આ બાબતે મહિલાઓ દ્વારા ચીફ ઓફિસરને સાર્વજનિક બગીચો ખુલ્લો કરાવવા રજૂઆત કરાઇ હતી અને તે સફળ રહી હતી જેમાં બગીચાની કમ્પાઉન્ડ વોલ દૂર કરવા પાલિકાનું બુલડોઝર આવી પહોંચ્યું હતું અને કમ્પાઉન્ડ વોલ તોડી પડાઇ હતી અને તેના પગલે સાર્વજનિક બગીચો ખુલ્લો થઈ ગયો હતો.