સગીરાને તેના પ્રેમીએ ઉઠાવી જઇ સંબંધીના ઘરે રાખી’તી

શહેરના સાધુવાસવાણી રોડ પરના ક્વાર્ટરમાં રહેતી 17 વર્ષની સગીરા 18 દિવસ પૂર્વે લાપતા થઇ ગઇ હતી, ગુરૂવારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો, ત્યાં શુક્રવારે સગીરા પારેવડી ચોકમાંથી મળી આવી હતી અને તેણે તેનો પ્રેમી ઉઠાવી ગયાની અને ભગવતીપરામાં રાખી હોવાની કબૂલાત આપી હતી, પ્રેમીએ સગીરા સાથે બળજબરી પણ કરી હોય પોલીસે પોક્સો સહિતની કલમ ઉમેરવાની કવાયત શરૂ કરી હતી, પ્રેમી અને તેને મદદગારી કરનાર મહિલાની શોધખોળ શરૂ કરી હતી.
યુનિવર્સિટી પોલીસે શુક્રવારે લાપતા સગીરાનું અપહરણ થયાનો ગુનો નોંધ્યો હતો, દરમિયાન શુક્રવારે સવારે સગીરાએ તેની માતાને ફોન કરી પોતે પારેવડી ચોકમાં હોવાનું કહેતા સગીરાની માતા અને પોલીસ ત્યાં દોડી ગઇ હતી.
પીએસઆઇ રત્નુ અને રાઇટર મેહુલસિંહ ચુડાસમાએ પૂછપરછ કરતાં સગીરાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, મોરબી રહેતો સાગર મનસુખ મકવાણા સાથે ટેલિફોનિક સંપર્ક હતો અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા, ગત તા.24ની સાંજે સાગર રૈયા ચોકડી નજીક આવ્યો હતો અને તેને સાથે લઇ ગયો હતો અને ભગવતીપરામાં આવેલા સાગરના સંબંધી મહિલાના ઘરે રોકાયા હતા.
18 દિવસ દરમિયાન સાગરે અનેક વખત બળજબરી પણ કરી હતી, પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરવાની કવાયત શરૂ કરી સાગર અને તેને મદદ કરનાર મહિલાની શોધખોળ શરૂ કરી હતી.