રાજકોટમાં માદરેવતન જવા નીકળેલા પતિએ પત્નીને બહાર રાખી મેલડી માતાજીના મંદિરમાં જઈ ઝેરી દવા પીધી

રાજકોટ શહેરના રણુજા મંદિર પાસે રહેતા અને મુળ અમદાવાદ હાઇવે પર ભારવણ ગામનો નારણ ચોથાભાઈ તલાવડીયા (ઉ.વ.22) ગઇકાલે રાત્રીના તેની પત્નીને સાથે બારવણ ગામે આંટો મારવા જતા હતા ત્યારે રસ્તામાં આવેલ મેલડી માતાજીના મંદિરે તેની પત્નીને મંદિર બહાર ઉભી રાખી તેને મંદિરમાં જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જયારે મોડે સુધી પતિ મંદિર બહાર ન નિકળતા તેની પત્નીએ તપાસ કરતા યુવક બેભાન હાલતમાં પડયો હતો.
મૃત જાહેર કર્યો હતો
જે અંગે તેના નણંદને ફોન કરી જાણ કરી હતી અને દોડી આવેલા પરીવારજનોએ પ્રથમ કુવાડવા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે સારવારમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.
તેનું મન બારવણમાં હતું
મૃતકના પરીવારજનોએ જણાવ્યા અનુસાર નારણના લગ્ન એક વર્ષ પહેલા હુડકોમાં રહેતી યુવતી સાથે થયા હતા. બાદમાં તેની પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરી હતી. જેથી યુવક દસ દિવસથી રણુજા મંદિર પાસે રૂમ ભાડે રાખી રહેતો હતો. પરંતુ તેનું મન રાજકોટના બદલે પોતાના ગામ બારવણમાં રહેવાનું હોય જેથી ગત રોજ તેની પત્નીને બારવણ આંટો મારી આવીએ કહી બન્ને નિકળ્યા હતા અને રસ્તામાં જ અંતિમ પગલુ ભરી લીધું હતું. મૃતક મજુરીકામ કરતો અને છ ભાઈ બહેનોમાં નાનો હતો. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.