વાસણના ઘા કરી શિક્ષિકા પાસે પૈસાની માંગણી કરી પતિનો ત્રાસ

પરિણીતા ઉપર ત્રાસ આપવાના વધુ બનાવની રૈયા રોડ, શિવાજી પાર્કમાં આવેલા સુમતીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય ઉર્મિબેન નામના પરિણીતાએ રૈયા રોડ પર સિટી ઇલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ કૌશિક કાંતિલાલ અજાબિયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અઢી મહિનાથી અલગ રહેતા અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ઉર્મિબેનની ફરિયાદ મુજબ, તેમના લગ્ન તા.10-12-1993ના કૌશિક સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરી, દીકરો છે. દીકરી પરિણીત છે.
લગ્ન બાદ જામનગર સંયુક્ત પરિવારમાં 10 વર્ષ રહ્યા બાદ રાજકોટ રહેવા આવ્યા હતા. પતિ કૌશિક નોકરી કયાંય લાંબી કરતા નહિ. જેને કારણે પોતે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હોય ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. જેથી પોતે ઘર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પતિ કોઇ કામધંધો કરતા ન હોવાને કારણે અવારનવાર પોતાની પાસે પૈસા માંગી ઝઘડાઓ કરતા રહેતા હતા.
છેલ્લા એક વર્ષથી પતિ કૌશિકનો એટલો બધો ત્રાસ વધી ગયો કે તેઓની પૈસાની માંગણી ન સંતોષે તો તેઓ ઘરમાં રહેલા વાસણના પોતાના ઉપર છૂટ્ટા ઘા કરી માર મારતા રહેતા હતા. પતિના અનહદ ત્રાસથી પોતે પુત્રને લઇ અલગ રહેવા જતા રહ્યા હતા. ત્યારે પતિ ગત ઓક્ટોબર મહિનામાં અમે જે એપાર્ટમેન્ટમાં રહીએ ત્યાં આવી ચોકીદાર સાથે અભદ્ર વર્તન કરી ગાળાગાળી કરી દેકારો મચાવ્યો હતો. જેથી પોલીસમાં અરજી આપી હતી. અરજી આપ્યાની ખબર પડતા પતિએ શુક્રવારે ઘરે આવી ઝઘડો કરી માર પણ માર્યો હતો. અંતે કંટાળીને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.