સરકાર ખેડૂતો પાસેથી ઘઉંની સાથે જાડું ધાન્ય (મિલેટ્સ) ટેકાના ભાવે ખરીદશે

વિશ્વમાં 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે હવે મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. કેબિનેટમાં આ મામલે નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવે અનાજ વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાના રહેશે.
આજથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે 31મી માર્ચ સુધી ચાલશે. 1થી 15મી જૂન સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.ડુંગળી- બટાટાના ખેડૂતોને સહાય માટે ટૂંકમાં નિર્ણય લેશે ઃ રાજ્યમાં તાજેતરમાં ડુંગળી અને બટાટાના પોષણક્ષમ ભાવો મળી રહ્યા નહીં હોવાથી ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અે બટાટા પકવતા ખેડૂતોને સહાય માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.