રાજકોટના ગૌરીદળમાં કૂવામાંથી યુવતીની લાશ મળી, બે વર્ષ પહેલા સગાઈ થઈ હતી

રાજકોટના મોરબી રોડ પર આવેલા ગૌરીદળ ગામે પરિવાર સાથે નાનકીબેન ઉર્ફે શર્મિલાબેન જુવાનસિંહ આદિવાસી (ઉં.વ.18) પેટીયુ રળવા આવી હતી. પરંતુ આજે તેની લાશ કૂવામાં તરતી હોવાની જાણ થતા ગ્રીનલેન્ડ લોકેશનની 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ નાનકીબેનનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં 108ની ટીમે તપાસી મૃત જાહેર કરી હતી. યુવતીની સગાઈ બે વર્ષ પહેલા જ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હોળી બાદ નાનકીબેનના લગ્ન હતા
દીકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં બે વર્ષ પહેલા નાનકીબેનની સગાઈ થઈ ગઈ હતી. હોળી બાદ નાનકીબેનના લગ્ન હતા, નાનકીબેનની નાની બહેન અગાઉ ભાગી ગઈ હતી અને નાનકીબેન પણ ઘરે હાજર નહીં મળી આવતા નાનકીબેન ભાગી ગઈ હોવાની શંકાએ પરિવાર વહેલી સવારે વતનમાં જવા નીકળી ગયો હતો.
પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડ્યો
પરંતુ સરધાર પાસે પહોંચતા વાડી માલિક નીતિનભાઈ અજાણીએ પરપ્રાંતીય પરિવારને ફોન કરી તેમની પુત્રીની લાશ કૂવામાં પડી હોવાની જાણ કરતા પરિવાર પરત ફર્યો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.