ચૂંટણી પૂર્વે રોગચાળો વકર્યો

ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી છે. સપ્તાહમાં નવા 11 કેસ દાખલ થતા કુલ દર્દીનો આંકડો 235 થયો છે. ઉધરસના પણ પોણા ત્રણસો જેટલા દર્દી સત્તાવાર રીતે મનપાની આરોગ્ય શાખાના ચોપડા પર ચડયા છે.
એડિસ મચ્છરોનો કહેર વધ્યો
આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલી વિગતો મુજબ તા.21-11 થી તા.27-11 સુધીના અઠવાડિયામાં ડેન્ગ્યુના કુલ દર્દીઓની સંખ્યા 235 થઇ છે. તો ચીકનગુનીયાનો એક કેસ આવતા વર્ષના કુલ કેસનો આંકડો 26 પર પહોંચ્યો છે. મેલેરીયાના કોઇ નવા કેસ સપ્તાહમાં નોંધાયા નથી.રાજકોટ શહેરમાં એડિસ મચ્છરોનો કહેર ઠંડી પડવાનું શરૂ થયું હોવા છતા ઓછો થતો નથી.જ્યારે શરદી, તાવ, ઉધરસ અને ઝાળા-ઉલ્ટીના 279 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગે ફોગીંગ અને પોરાનાશક સહિતની ડોર ટુ ડોર કામગીરી વધુ તેજ બનાવી છે.
1156 ઘરોમાં ફોગીંગ કરાયું
જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક સપ્તાહ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 71,688 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1156 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.
આ સ્થળો પર ફોગીંગ કરાયું
આ કામગીરી હેઠળ સ્વામી વિવેકાનંદનગર (53 કવા.), રામકૃષ્ણનગર શેરી નં. 10, 12, 13, સખીયાનગર, રાજીવનગર, વસંત વિહારની સામેનો વિસ્તાર, ત્રિલોક પાર્કમાં બાજુમાં આર.એમ.સી.આવાસ કવા., નવી કલેકટર ઓફિસ આસપાસનો વિસ્તાર, રાઘાનગર સોસા., જવાહર સોસા., લાલ બહાદુર સોસા., મઘુવન પાર્ક (માઘા5ર ચોકડી), કૈલાસવાડી, દિવાનપરા, ડી.એમ. રેસીડેન્સી, પ્રણામી પાર્ક નં. 3, ઘાંચીવાડ, કેવડાવાડી, અરવિંદભાઇ મણીયાર – બી કવા. હુડકો, વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
612 સ્થળો પર મચ્છરની ઉત્પતિ મળતા નોટિસ ફટકારાઇ
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે હેઠળ રહેણાંક સિવાય અન્ય 817 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરીને 548 રહેણાંક અને કોર્મશીયલ 64 આસામીને નોટીસ આપવામાં આવેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે નાગરિકોએ ઘર અંદર અને નજીકમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની તકેદારી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.