રાજકોટમાં આજથી ઠંડી થોડી ‘ઠંડી’ પડશે

રાજકોટમાં મંગળવારે બે ડિગ્રી લઘુતમ તાપમાન ઊંચકાયું હતું. આમ છતાં 9.4 ડિગ્રી સિંગલ ડિજિટમાં ઠંડીનો પારો નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી હવે ઠંડીનું જોર ઘટશે. મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ શહેરમાં સિંગલ ડિજિટ તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી કેશોદ અને પોરબંદરમાં 8.5 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં સતત ત્રણ દિવસ સુધી સિંગલ ડિજિટમાં તાપમાન રહ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન ઓખા 18.9. ભાવનગરમાં 11.4, દ્વારકા 12.8, વેરાવળ 13.4, દીવ 10.8, સુરેન્દ્રનગર 10.2, મહુવા 9.9, કેશોદ 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે રાજકોટમાં સતત ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ જોવા મળ્યો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. શાળા- કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. જ્યારે દૂધની આવકમાં વધારો થયો છે. સતત ઠંડી રહેવાને કારણે સવારે- રાત્રે રોડ રસ્તા પર ટ્રાફિક પણ ઘટ્યો છે.
સાવચેતી - શીતલહેરથી બચવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી
1 શીતલહેરમાં હાઈપોથર્મિયા થઇ શકે છે. જે માનવીય જીવન માટે જોખમ ઊભું કરી શકે છે. આ બીમારીથી બચવા માટે શિયાળામાં ગરમ કપડાં, સ્વેટર, મફલર ગરમ ટોપીનો ઉપયોગ કરવો. તેમજ વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃદ્ધ, બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું.
2 ઘરના બારી-બારણા બંધ રાખવા. જરૂરિયાત મુજબ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુનો પુરવઠો સ્ટોર કરવો. પર્યાપ્ત પાણીનો સંગ્રહ કરવો અને સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્યના તાપમાં બેસવું.
3 નિયમિત પણે ગરમ પ્રવાહી, વધુ કેલેરીવાળો ખોરાક ન ખાવો. આ ઉપરાંત ત્વચા સૂકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન, જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો. ગ્લિસરિનયુક્ત સાબુનો ઉપયોગ કરવો.
4 શરીરમાં ધ્રુજારીને અવગણશો નહિ. લાંબા સમય સુધી ઠંડીના સંપર્કમાં રહેવાથી ત્વચા નિસ્તેજ, સખત અને સૂન થઈ શકે છે. આંગળીઓ, અંગૂઠા, નાક અને કાનના પડદા પર લાલ ફોલ્લા થઇ શકે છે. ઉપરોક્ત લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને અથવા તો ખાનગી દવાખાનાના તબીબનો સંપર્ક કરીને જરૂરી સારવાર મેળવવી જોઈએ.
તંત્ર એક્શન મોડમાં - ખુલ્લામાં સૂતેલા લોકોને રેનબસેરામાં ખસેડાશે
શીતલહેરની આગાહી સામે વહીવટી તંત્રએ આગોતરી તૈયારી સાથે એક્શન મોડમાં આવ્યું છે. જેના ભાગરૂપે ઝીરો કેઝ્યુઆલિટીની નીતિ સાથે બહુઆયામી એક્શન પ્લાન બનાવીને કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડ્રાઈવ કરીને ખુલ્લામાં સૂતેલા લોકોને રેનબસેરામાં ખસેડવા અને કોઈ પણ નાગરિક ખુલ્લામાં ન સૂવે તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જો ગ્રામીણ કે નગરપાલિકા વિસ્તારમાં રેનબસેરા ન હોય તો સ્કૂલ કે સમાજની વાડીમાં કામચલાઉ આશ્રય સ્થાન ઊભા કરવા કહ્યું છે.