બાળક નાનું છે, કમરના દુખાવાના બહાને પેપર ચેકિંગમાં મુક્તિ માગી!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પરીક્ષા હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ધોરણ 10 અને 12 સાયન્સ-કોમર્સમાં મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઇ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ રાહત થઇ છે. શિક્ષણતંત્ર બોર્ડની પરીક્ષા બાદ હવે આ પરીક્ષાના પેપર ચેક કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બોર્ડના પેપર ચેક કરવા માટે જુદા જુદા વિષયોના શિક્ષકોના ઓર્ડર નીકળ્યા છે તેમાંથી કેટલાક શિક્ષકોએ બોર્ડના પેપર ચેક નહીં કરવા જુદા જુદા બહાના રજૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારી પાસે મુક્તિ માગી છે.
શિક્ષકોએ પેપર ચેક નહીં કરવા જુદા જુદા બહાના
કોઈ શિક્ષકે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં અરજી કરીને પોતાનું બાળક નાનું હોવાથી પેપર ચેક કરવાની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે તો કોઈએ કમરમાં દુખાવો હોવાનું કારણ ધર્યું. કોઈ શિક્ષકે મણકાનો દુખાવો હોવાથી તો કોઈએ ટ્રાવેલિંગની એલર્જી હોવાનું કારણ ધરીને પેપર ચેક કરવામાંથી મુક્તિ માગી છે.
જુદા જુદા પ્રકારના બહાનાવાળી 15 જેટલી અરજી રિજેક્ટ કરી
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી પાસે આ પ્રકારની 22 જેટલી અરજી આવી છે જેમાંથી જુદા જુદા પ્રકારના બહાનાવાળી 15 જેટલી અરજી રિજેક્ટ કરી છે. જ્યારે પ્રેગનન્સી, ગંભીર બીમારી જેવી 5 જેટલી અરજી માન્ય રાખી છે. સંભવત આગામી તારીખ 30 માર્ચથી બોર્ડના પેપરનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડના પેપરોની મૂલ્યાંકન કામગીરીમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવનાર છે. હોલ ટિકિટ સાથે શિક્ષકોના પેપરોના ઓર્ડરો પણ બોર્ડ દ્વારા ઇશ્યૂ કરી દેવામાં આવ્યા હતા.
3500 શિક્ષકો પેપર મૂલ્યાંકનમાં જોડાશે
રાજકોટ જિલ્લાની કેટલીક શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવાયું છે અને પેપર ચેક કરવા માટે હાલ 1400 જેટલા શિક્ષકોના ઓર્ડર કરાયા છે, પરંતુ તમામ પેપર ચેક કરવા માટે અંદાજે 3500 જેટલા શિક્ષકો કામગીરીમાં જોડાશે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ પરિણામ પણ સમયસર જાહેર કરી દેવામાં આવે તે માટે કમર કસી છે અને પરીક્ષા દરમિયાન જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરી દેવાશે.
પ્રેગનન્સી, કેન્સર જેવા કિસ્સામાં મુક્તિ આપી
બોર્ડના પેપરનું મૂલ્યાંકન આગામી દિવસોમાં થવાનું છે ત્યારે અત્યાર સુધીમાં 20થી 22 જેટલા શિક્ષકોની અરજી આવી છે જેમાં તેમણે પેપર ચેક કરવામાંથી મુક્તિ માગી છે. તેમાંથી 15 જેટલા શિક્ષકોની અરજી વાજબી કારણ નહીં હોવાને કારણે રદ કરી છે જ્યારે કોઈ મહિલા શિક્ષકને પ્રેગનન્સી હોવાથી, કોઈ શિક્ષકને કેન્સરની સારવાર ચાલી રહી હોવાથી તેમને પેપર ચેકિંગ કામગીરીમાંથી મુક્તિ આપી છે. કોઈ શિક્ષકનું વાજબી કારણ હોય તો તેમને મુક્તિ અપાય છે બાકીની અરજી રદ કરી છે.