જેતપુરના સુંદરવન પાર્ક પાસે ચાર રસ્તે દીવાલની આડશને હટાવાઇ

જેતપુરના સુંદરવન પાર્ક વિસ્તારના લોકોને મુખ્ય રોડ પર જવા આડે લગત રોડ પર અન્ય પાર્કના બિલ્ડરે દીવાલ બનાવી લીધી હોય તે દૂર કરવાની અને રસ્તો ખુલ્લો કરવાની સ્થાનિકોની નગરપાલિકાને છેલ્લા ત્રણથી ચારથી રજૂઆત બાદ આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ચાર રસ્તા આડેની દીવાલ રૂપી આડશ બુલડોઝરથી ધરાશયી કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતાં.
જેતપુર શહેરના સરધારપુર રોડ પર સુંદરવન અને શિવ પાર્ક બંને સાથે આવેલા વિસ્તારો છે. આ વિસ્તારથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ છે પરંતુ ચારેય રસ્તા મયુર પાર્ક સાથે જોડાયેલા હોય અને મયુર પાર્કના બિલ્ડરે લગત રોડ આડે દીવાલ બનાવી રોડ બંધ કરી દીધો હતો.
જેથી આ સુંદરવન અને શિવ પાર્કના રહેવાસીઓને અડધો કિમી અવાવરુ રસ્તા પર ફરીને મુખ્ય રસ્તા પર જવું પડતું. આ દિવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં છેલ્લા ચારેક વર્ષથી લેખીક મૌખિક રજૂઆત કરતાં હતાં.
પરંતુ સત્તાધીશો ફક્ત ઠાલા વચનો જ આપતા જેથી સ્થાનિક મહિલાઓ અઠવાડિયા પૂર્વે નગરપાલિકાને આ દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા મુકવા ઉગ્ર રજૂઆત કરીને જો નગરપાલિકા દૂર નહિ કરે તો અમો જાતે દૂર કરી નાંખીશું અને આ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડશે તેની જવાબદાર નગરપાલિકા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.