રાજકોટમાં પત્નીને ગોળી અને તલવાર વડે મારી નાખવાની ધમકી આપનાર સન્ની પાજી અને તેના પિતાની ધરપકડ

રાજકોટની જાણીતી હોટેલ સન્ની પાજી દા ધાબાના માલિક અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પતિ સન્નીપાજી નશાની હાલતમાં માર મારી રિવોલ્વર તેમજ તલવાર વડે મારી નાખવાની તેમની પત્નીને ધમકી આપતા હોવાની ફરિયાદ મહિલા પોલીસે નોંધાતા પોલીસે સન્નીપાજી અને તેના પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમલગ્ન કર્યાં હતાં
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેનાં માતા-પિતા તથા દીકરા સાથે છેલ્લાં બે વર્ષથી મારા માવતરના ઘરે રહું છું. તે 2014માં રાજકોટ ડાન્સ ક્લાસમાં ડાન્સ શીખવા જતી ત્યારે તે અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન સાથે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ થતાં એકબીજાની સહમતીથી પરિવારજનોની હાજરીમાં ગુરુદ્વારા ખાતે તા. 22.01.2017ના રોજ શીખ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવનથી સંતાનમાં બે દીકરા છે. જેમાં મોટો દીકરો રાજવીરસિંઘ જેની ઉંમર સાડા ચાર વર્ષ છે અને નાનો દીકરો યુવરાજ જેની ઉંમર 3 વર્ષ છે. જે બંન્ને બાળકો હાલ તેની પાસે છે.

બાળકોના ભવિષ્યને વિચારીને સહન કરતી
ફરિયાદમાં પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નબાદ તેનો પતિ, સસરા તથા દાદાજી સસરા સાથે સંયુકત પરિવારમાં રાજકોટ રહેતાં હતાં. લગ્ન બાદ બે માસ મારું લગ્નજીવન સારું ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ અવારનવાર તેનો પતિ તેને નશો કરી મારકૂટ કરતો અને તેના સસરા પણ પુત્રને સપોર્ટ કરતા અને મારા સસરા દારૂ પીને અપશબ્દો બોલતા અને તે અવારનવાર આવું ગેરવર્તન કરતા રહેતા હતા. પરંતુ પોતાનાં બંન્ને બાળકોના ભવિષ્યને વિચારીને તે સહન કરતી હતી. તેને એમ હતું કે ભવિષ્યમા આ તેનાં બાળકો મોટા થતાં પતિ સુધરી જશે પરંતુ તેનો વિશ્વાસ ખોટા સાબિત થયેલો અને તેનો પતિ સુધર્યો ન હતો.
અમનવીરસિંઘને પરસ્ત્રી સાથે સબંધ હોવાનો પત્નીનો આરોપ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેના પતિ અમનવીરસિંઘને અન્ય સ્ત્રી સાથે સંબંઘ હતા. જે વાતની જાણ તેને લગ્નના બે માસ પછી થઈ હતી. આ વાતની જાણ તેના સસરા તથા દાદાજી સસરાને હોવા છતાં તેઓ આ બાબતે કંઈ કહેતા નહીં અને આવું કરશે નહીં તેવું કહેતા. પરંતુ આ તેનો પતિ સુધરતો ન હતો અને અવારનવાર મારકૂટ કરતો હતો. એટલું જ નહીં, અન્ય યુવતી સાથે વાતો કરતો હતો. જે બાબતે કહેતા તેને તેનો પતિ કહેતો કે હું વાતો તો કરીશ જ અને આ બાબતમાં પરિણીતાના સસરા તેજેન્દ્રસિંઘ તેને સપોર્ટ કરતા અને કહેતા કે આવું બધું તો તારે સહન કરવું પડશે.
દાગીના, કરિયાવર પણ લઈ લીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ અમારા પરિવારના વડીલો દ્વારા પાંચેક વખત સમાધાનના પ્રયાસો કરેલ તેમ છતાં મારા પતિ સુધરેલ નહી. અગાઉ પણ પરિણીતાએ તેના પતિની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરેલો. તેમજ ભરણપોષણનો કેસ પણ કરેલો, જે હાલ ચાલુ છે અને મારા દાગીના, કરિયાવર તેમજ મારાં બંન્ને બાળકોની વસ્તુ તેમજ મારી સ્ત્રીધનની તમામ વસ્તુ પતિ પાસે હોઇ જે આજદિન સુધી તેને પરત આપેલી નથી અને ત્યારબાદ આ તેના સસરા તેજેન્દ્રસિંઘ તેને પિયરમાં પહેરેલાં કપડે મૂકી ગયાં હતાં.
બન્ને બાળકોને ખેંચવાની કોશિશ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,મારા પતિ તથા સસરાના ત્રાસથી આ મારાં બંન્ને બાળકો ખૂબ જ ડરતાં અને આ મારા પતિ દારૂ પીને મારા પપ્પાના ઘરે રાત્રીના સમયે બન્ને બાળકોને મળવા આવેલો અને આ મારાં બન્ને બાળકોને ખેંચવાની કોશિષ કરેલી અને જ્યારે તેણે ફોન કરવા માટે ફોન કાઢેલો ત્યારે તેના પતિએ ફોન ઝૂંટવી લઈ લીધેલો અને જતા રહ્યો હતો. ત્યારે તેના સસરા મને મે-2021માં પિયરમાં મૂકી ગયેલા, ત્યારથી આજદિન સુધી પરિણીતા તેના પપ્પાના ઘરે જ રહે છે.
અવારનવાર હુમલા કરી શારીરિક ત્રાસ આપ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પતિએ નશો કરેલ હાલતમાં મને માર પણ માર્યો છે અને રિવોલ્વર તથા તલવાર વડે મારી નાખીશ એવી ધમકી આપેલ છે. હું જ્યારે ગર્ભાવસ્થામાં હતી ત્યારે મારા પતિએ મારી કોઇ જાતની સાર-સંભાળ લીધેલ નહીં કે મારી દરકાર કરેલ નહીં અને મારાં બાળકો બીમાર હોય ત્યારે મારા પતિ કે મારા સસરા કોઇ હોસ્પિટલમાં ખબર પૂછવા માટે આવતા નહીં અને ત્યારે મારા પિયરવાળા જ મારાં બાળકોની સારસંભાળ લેતા અને અગાઉ દોઢેક માસ પહેલાં જ્યારે હું મારાં બાળકોને શાળાએ મૂકવા ગયેલ ત્યારે મારા પતિએ નશો કરીને મારી ગાડીના બોનેટમાં જોરજોરથી ધુબ્બા મારેલ હતા. આમ અવારનવાર હુમલા કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જેથી આખરે કંટાળી મેં પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.