વીરનગરના વિદ્યાર્થીઓએ આદર્યો સેવાયજ્ઞ ખારચિયા ગામને બનાવી દીધું પ્લાસ્ટિક મુક્ત

જસદણના વીરનગર ગામે ચાલતી વી.પી.હાઈસ્કૂલમાં NSS (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષથી દત્તક લીધેલા ખારચિયા (હનુમાન) ગામ ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત પ્રકાશગીરી બાપુ દ્વારા આ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક મગનભાઈ ચોવટીયા, શાળાના આચાર્ય ભુવાભાઈ તથા આગેવાનો હાજર રહ્યા હતા. કચરા મુક્ત ગામનું ગોંદર (ગામનું આંગણુ-પાદર) પ્રોજેક્ટની રચના કરી આ નિમિત્તે 112 બોરા પ્લાસ્ટિક તથા કચરો ભેગો કરી તેને બાળી નાશ કરવામાં આવ્યો હતો.
સ્મશાનમાં કરાયું વૃક્ષારોપણ
પાદરમાં રહેલા ભવ્ય “સ્મશાન ગૃહ”માં જઈને ઝાડના ખામણા કરી પાણી પાવામાં આવ્યું હતું. સાથોસાથ ઝાડને ગેરૂ ચુનાથી રંગવામાં આવ્યા હતા અને સમગ્ર સ્મશાનને કચરા મુક્ત કરી “એક બાળ એક વૃક્ષ” ની થીમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે બેટી બચાવો, બેટી પઢાવોના સાર્થકને સરિતાર્થ કરી નાની નાટિકા કરાવવામાં આવી હતી. જેમાં લોક જાગૃતિ માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ શિબિરમાં યોગ, ધ્યાન, કસરત, પ્રાર્થના, ભજન, લોકગીત, એન.એસ.એસ. ગીત, પ્રભાતફેરી વગેરે કાર્ય કરવામાં આવ્યા હતા.