STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!

ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં આજે ગાંધીનગરમાં નવી 151 બસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે અને આ નવી બસને આજથી લોકોની સેવામાં મુકાશે.
એસ.ટીની નવી 151 બસ પૈકી સૌરાષ્ટ્રને 44 અને રાજકોટ એસ.ટી ડિવિઝનને માત્ર ચાર જ બસ મળવાની હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 53 કરોડના ખર્ચે બનેલી આ નવી 151 લક્ઝરી બસને આજથી રાજ્યના એસ.ટી નિગમના જુદા જુદા ડિવિઝન અને ડેપોને ફાળવવામાં આવશે. નવી બસ ગાંધીનગરથી જે-તે ડેપો કે ડિવિઝનમાં લઇ જવા ડિવિઝનના અધિકારીઓને તેમના ડ્રાઈવરને યુનિફોર્મ સાથે મોકલવા સૂચના આપવામાં આવી છે.
શિવરાત્રીના મેળા માટે 30 એક્સ્ટ્રા બસ
શિવરાત્રીના મેળામાં દર વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ હજારો યાત્રિકો જૂનાગઢ જાય છે. આ મુસાફરો માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસનું સંચાલન શરૂ કરાયું છે. 30 બસ એકસ્ટ્રા રાજકોટ એસ.ટી. ડેપો ખાતેથી શરૂ કરાશે.