પૂનમ અને બુધવારે કરો આ રીતે દિવસ ની શરૂઆત

બુધવાર, 7 ડિસેમ્બરે માગશર મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ છે. આ દિવસે દત્તાત્રેય ભગવાનનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. બુધવારે પૂનમ અને દત્તાત્રેય જન્મોત્સવ હોવાથી આ એક શુભ યોગ બની ગયો છે. આ દિવસે પૂજાપાઠ સાથે જ નદી સ્નાન અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માગશર પૂનમના દિવસે કરેલાં ધર્મ-કર્મનું અક્ષય પુણ્ય મળે છે. અક્ષય પુણ્ય એટલે જે પુણ્યની અસર જીવનભર રહે છે. આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. પોતાના શહેરમાં કે શહેરની આસપાસ જ્યાં પવિત્ર નદી વહેતી હોય, ત્યાં સ્નાન કરો અને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને દિવસની શરૂઆત કરો.
નદી સ્નાન પછી નદી કિનારે જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, ઊનના વસ્ત્રોનું દાન કરો. ગૌશાળામાં ગાયની દેખરેખ કરો. લીલું ઘાસ ખવડાવો, ધનનું દાન કરો
પૂનમ તિથિએ જો નદી સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. જો ગંગાજળ પણ ન હોય તો બધા તીર્થ અને નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો અને ઘરની આસપાસ જ દાન-પુણ્ય કરો.

પૂનમ તિથિએ આ શુભ કામ પણ કરો
- માગશર પૂનમ તિથિએ ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને શ્રીકૃષ્ણની પૂજા કરો. આ દેવી-દેવતાઓને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાનને તુલસી સાથે માખણ મિસરી અને મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવો, આરતી કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય અને કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
- બુધવારે ભગવાન શ્રી ગણેશની પૂજા સૌથી પહેલાં કરો. ગણેશજી પ્રથમ પૂજ્ય છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. કોઈપણ કામની શરૂઆત ગણેશ પૂજા સાથે કરવી જોઈએ.
- પૂનમ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી જોઈએ. ભગવાન સત્યનારાયણની કથાનો સંદેશ એ છે કે આપણે જીવનમાં ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. કથા કે પૂજા કરતી સમયે ભગવાન સામે સંકલ્પ કરો કે હંમેશાં સાચું જ બોલશો.
- પૂનમ તિથિએ હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો