તો શું વધી જશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ! બજેટ પહેલા સરકારને કહેવાયું એક્સાઈઝ ડ્યુટી પાછી ખેંચો

બજેટ 2023-24 પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ સમાજના વંચિત લોકોને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને ટેકો આપ્યો છે. આ અંતર્ગત IMFએ પણ ખાતર સબસિડી વધારવાના સરકારના નિર્ણયનો બચાવ કર્યો છે. IMFનું માનવું છે કે, સરકારના આ પગલાથી કૃષિ ઉત્પાદનની સાથે ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.
IMFએ સરકાર સાથે શું ચર્ચા કરી ?
IMF એ ભારત સરકાર સાથે તેની આર્થિક નીતિઓ, નાણાકીય સ્થિતિ અને નીતિ વિશે ચર્ચા કરી છે. અને આ ચર્ચાઓના આધારે એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ડિસેમ્બર 2022માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં IMFએ તેના આગામી બજેટ અંગે નીતિ સૂચનો સાથે કેન્દ્ર સરકારને નાણાકીય બાબતોને લગતા અનેક અંદાજો પણ જાહેર કર્યા છે.
IMF એ પોતાના રિપોર્ટમાં શું કહ્યું ?
IMFએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ગરીબોને મદદ આપવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું છે કે, આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચને પ્રાથમિકતા આપવી જોઈએ. જોકે IMF પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાનો વિરોધ કરે છે. તેમનું માનવું છે કે, જેઓ અમીર છે તેમને આનાથી ફાયદો થાય છે. જોકે સરકારના લોકોએ IMF ને કહ્યું કે, મોંઘવારી ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી જરૂરી છે.
ટેક્સ કલેક્શન વધવાને કારણે રેવન્યુમાં વધારો થશે
IMF નું માનવું છે કે, સરકાર બજેટમાં નિર્ધારિત રાજકોષીય ખાધના લક્ષ્યાંકને ચોક્કસપણે હાંસલ કરશે. તેમણે કહ્યું કે કોમોડિટીના ભાવમાં ઉછાળા બાદ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકોને મફત રાશન, પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ એક વર્ષમાં 12 સિલિન્ડર પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર આપવાના સરકારના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. સબસિડીથી સરકારની આવક પર અસર પડી છે. પરંતુ GST કલેક્શનમાં જબરદસ્ત વૃદ્ધિ અને આવકવેરાની વસૂલાતમાં તેજીએ આ અસરને રદ કરવામાં મદદ કરી છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પર વિન્ડફોલ ટેક્સ લાદવાથી સરકારને પણ ફાયદો થયો છે.
IMFએ તેના અનુમાનમાં કહ્યું છે કે, સરકાર જીડીપીના 6.4 ટકાના રાજકોષીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરશે. તો એજન્સીએ 2023-24માં 6.2 ટકા રાજકોષીય ખાધનો લક્ષ્યાંક રાખ્યો છે. 2023-24માં કુલ ખર્ચ જીડીપીના 14.8 ટકા રહેવાનો અંદાજ છે, જે 2022-23માં 15.1 ટકા રહેશે. IMFએ રાજકોષીય ખાધ ઘટાડવા માટે મધ્યમ ગાળાની વ્યૂહરચના તૈયાર કરવાની હિમાયત કરી છે.
IMF એ સરકારને શું સલાહ આપી ?
IMFએ સરકારને ખાધ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચવાની સલાહ આપી છે. આ સાથે કોર્પોરેટ ટેક્સ અને ઈન્કમ ટેક્સ બેઝ વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં GSTમાં પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ સાથે વસ્તુઓની સંખ્યા ઘટાડવા, એસેટ મોનેટાઇઝેશન, ખાનગીકરણ, વીજળીના દરમાં સુધારો કરવા અને માત્ર જરૂરી લોકોને જ સબસિડીનો લાભ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્રીય યોજનાઓની સંખ્યા ઘટાડવાની પણ સલાહ આપવામાં આવી છે.