ડેલામાં પીઓપીની છત તોડી તસ્કર રૂ.1.63 લાખની મતા ચોરી ગયા

શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકી પોલીસના નાઇટ પેટ્રોલિંગનો ભાંડો ફોડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક સ્થળેથી રોકડ સહિત રૂ.1.63 લાખની માલમતા તસ્કરો ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
તિરુપતિ બાલાજી પાર્ક-6માં રહેતા અને નજીક જ સુદર્શન મેટલના નામનો ડેલો ચલાવી ભાગીદારીમાં વેપાર કરતા રાજેશભાઇ ચંદુભાઇ રૈયાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે સાંજે ભાગીદારો સાથે ડેલો બંધ કરીને ગયા હતા. બાદમાં રાબેતા મુજબ મંગળવારે સવારે ડેલા પર આવ્યા હતા. ડેલામાં કામ કરતા કર્મચારીએ ડેલાના તાળાં ખોલી અંદર જતા ઓફિસનો દરવાજો અંદરથી બંધ હતો.
બાદમાં સિક્યુરિટી લોક ખોલી અંદર જતા ઓફિસમાં ઉપર લગાડેલું પીઓપી તૂટેલું જોવા મળ્યું હતું. જ્યારે ટેબલના ખાના ખુલ્લા હોય અંદર વેપારના રાખેલા રોકડા રૂ.1.46 લાખ ગાયબ હતા. તેમજ ડેલામાં લગાડેલા સીસીટીવીના ડીવીઆર અને હાર્ડડિસ્ક મળી કુલ રૂ.1.63 લાખની મતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.