સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31 જુલાઇ 2025) સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ડેમ 70 ટકા ભરાયો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને 'વોર્નિંગ સ્ટેજ' પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં છે.
ડેમમાં હાલ 4,22,495 ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે, જેને કારણે કુલ સંગ્રહ ક્ષમતાના 75.60% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જે 7151.67 MCM (મિલિયન ક્યુબિક મીટર) થાય છે. પાણીના આ ભારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે, ડેમના 5 દરવાજા 2 મીટર સુધી ખોલીને નદીમાં 85,367 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કેનાલમાં 4,190 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.