વ્યાજખોરોના કારણે બળાત્કાર-આપઘાત જેવા કેસો જોઈ એક્શનમાં સરકાર, સંઘવીએ જુઓ આદેશ આપ્યા

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બસ પોર્ટ ખાતે વધુ પાંચ ઇલેકટ્રીક બસોનું લોકાર્પણ કર્યુ હતું. વધુમાં રાજકોટ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના કાર્યક્રમ સહિત અનેક સ્થળોએ હાજરી આપી હતી. આ વેળાએ હર્ષ સંઘવીએ વ્યાજખોરો મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું.
વ્યાજખોરો મુદ્દે ગૃહરાજ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન
રાજકોટ મુલાકાત દરમિયાન વ્યાજખોરો મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપી કહ્યું હતું કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યમાં કોઈપણ જગ્યાએ વ્યાજખોરોનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે અને કોઈ વ્યાજખોરને છોડવામાં નહિ આવે તેવી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી.
તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસના બે કિસ્સા નોંધાયા હતા
સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં તાજેતરમાં રાજકોટમાં વ્યાજખોરોએ એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. જેમાં મહિલાના પતિએ અજિતસિંહ ચાવડા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયા પતિએ પરત ન કરતા અજિતસિંહના મિત્ર દિપક વાગડીયાએ મહિલાને ધમકી આપી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત મોરબીના હળવદ તાલુકાના માલણીયાદ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. જેમાં પણ ખેડૂતે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં ખેડૂતો એ 9 વ્યાજખોરના નામ લખ્યા હતા. આમ અલગ અલગ બે જગ્યાએ વ્યાજખોરોનો આતંક સામે આવતા હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે.