ધો.12માં શાળા 3, વિદ્યાર્થી માત્ર 200!; જિલ્લામાં માત્ર 3 શાળામાં જ વ્યવસાયલક્ષી કોર્સ ભણાવાય છે

ધોરણ 12માં સામાન્ય રીતે સાયન્સ અને કોમર્સ આ બે જ પ્રવાહની મોટાભાગના લોકોને જાણકારી હોય છે પરંતુ આ સિવાય ત્રીજો પ્રવાહ પણ ધોરણ 12માં હોય છે તેનું નામ છે વ્યવસાયલક્ષી પ્રવાહ. જોકે ધોરણ 12ના કુલ વિદ્યાર્થીઓમાંથી 95%થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રવાહ સામે ઉદાસીન હોવાની સ્થિતિ સર્જાઈ છે. આગામી તારીખ 14 માર્ચે લેવાનારી બોર્ડની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 85 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાંથી ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહમાં માત્ર 200 જ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.
વ્યવસાયલક્ષી પ્રવાહમાં વિદ્યાર્થીઓ પણ હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ હોવાને કારણે ભવિષ્યમાં આ કોર્સ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ધોરણ 12 સાયન્સ અને કોમર્સની સરખામણીમાં વ્યવસાયલક્ષી કોર્સની ડિગ્રીના આધારે નોકરી મળવાની સંભાવના પણ ઓછી છે. ધોરણ 12ના વ્યવસાયલક્ષી પ્રવાહના જાણે વળતા પાણી શરૂ થયા હોય એમ આખા રાજકોટ જિલ્લામાં માત્ર ત્રણ જ સ્કૂલમાં આ કોર્સ ભણાવાય છે.
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું કે, ગ્રામ્યમાં ડુમિયાણીની સ્કૂલમાં અને રાજકોટ શહેરમાં માસૂમ સ્કૂલ અને કડવીબાઈ સ્કૂલમાં આ કોર્સ ભણાવાય છે. ધોરણ-12માં મોટાભાગના વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી કોર્સ પ્રત્યે ઉદાસિનતા હોવાથી તેઓ પ્રવેશ લેતા નથી.
ઉદ્યોગ સાહસિકતા, મિકેનિક ટેક્નોલોજી સહિત 42 વિષય
ધોરણ 12માં વ્યવસાયલક્ષી કોર્સમાં ઉદ્યોગ સાહસિકતા, ગુજરાતી, એડવાન્સ હાઉસકીપિંગ, ફૂડ પ્રોસેસિંગ, પેટર્ન મેકિંગ, મિકેનિક ટેક્નોલોજી, સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઈન, પશુ સંબંધિત બીજદાન દુગ્ધસ્ત્રાવ, જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, દૂધની જુદી જુદી બનાવટો, ગુજરાતી મુદ્રાલેખન, સોશિયલ સ્કિલ્સ, ઇન્ટિરિયર ડેકોરેશન, ઓટો મોબાઈલ એન્જિ. ટેક્નિશિયન, પ્રોગ્રામિંગ લેંગ્વેજ સહિતના 42 જેટલા વિષયનો કૃષિ, વાણિજ્ય, ગૃહવિજ્ઞાન અને તાંત્રિક જૂથમાં સમાવેશ થાય છે.
વ્યવસાયલક્ષી પ્રવાહમાં ઉપેક્ષા, ITIમાં આ પ્રકારના કોર્સ અનેક વિદ્યાર્થીઓ કરે છે
ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. આ કોર્સમાં વિદ્યાર્થી રિટેઈલનો અભ્યાસ કરે તો સુપરમોલ-માર્ગમાં માલ વેચવાની તાલીમ મળે અને વેપારીઓને કુશળ કર્મચારી તૈયાર મળી જાય. બ્યુટી પાર્લ૨નો કોર્સ દીકરીઓ કરે તો પોતાનો વ્યવસાય ખોલી શકે અને અન્ય પાર્લરોમાં નોકરી પણ મેળવી શકે. છતાં આ પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે જ્યારે બીજી બાજુ આઈટીઆઈમાં આ જ પ્રકારના કોર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ રહ્યા છે.