RBIનો વિલફુલ ડિફોલ્ટર્સ માટેના ધોરણોમાં ફેરફાર માટેનો પ્રસ્તાવ

આરબીઆઇએ વિલફુલ ડિફોલ્ટર્સ માટેના ધોરણોમાં કેટલાક ફેરફાર માટેનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં નવી વ્યાખ્યા પ્રમાણે એવા ડિફોલ્ટર્સ જેઓને રૂ.25 લાખ કે તેથી વધુ રકમની ચૂકવણી કરવાની બાકી છે અને ચૂકવણી કરવાની ક્ષમતા હોવા છતાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો હોય તેવા ડિફોલ્ટર્સ સામેલ છે. RBIએ નવા ડ્રાફ્ટ માસ્ટર માટેના નિર્દેશો પર સૂચનો મંગાવ્યા છે જે ધિરાણદારો માટેના અવકાશને વિસ્તૃત કરવાની દરખાસ્ત કરે છે, જે લોન લેનારાને વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે વર્ગીકૃત કરી શકે છે અને ઓળખ પ્રક્રિયાને સુધારી શકે છે.
વિલફુલ ડિફોલ્ટર્સ ધિરાણ સુવિધાના રિસ્ટ્રક્ચરિંગ માટે પાત્ર નહીં હોય અને અન્ય કોઇપણ કંપનીના બોર્ડમાં રહી શકે નહીં. ડ્રાફ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ધિરાણદારો જ્યારે પણ વોરન્ટ હોય ત્યારે લોન લેનારા તેમજ લોનની વસૂલાત માટે ઝડપીથી કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તે એકાઉન્ટને નોન-પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કર્યાના 6 મહિનાની અંદર ડિફોલ્ટ થવાના પાસાઓ પર સમીક્ષા કરી શકશે. ડ્રાફ્ટ પરના સૂચનો 31 ઓક્ટોબર સુધી RBIને જમા કરાવી શકાશે. આ નવા નિદેર્શનો આશય ધિરાણદારોને ચેતવણી આપવા માટે પણ છે. તેના માટે એક એવી સિસ્ટમ સ્થાપિત કરવાની દરખાસ્ત છે કે બેન્કોને ચેતવવા માટે વિલફુલ ડિફોલ્ટર્સ અંગેની ધિરાણ માહિતી તેઓને અગાઉથી આપવામાં આવે જેથી કરીને બેન્કો તેમને વધુ લોન ન આપે.