શિવરાત્રી નિમિત્તે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે

જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવશે. રાજકોટ-જૂનાગઢ વચ્ચે ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ 15થી 21 ફેબ્રુઆરી સુધી (16 અને 20 ફેબ્રુઆરી સિવાય) દોડશે.
આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે. ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઊભી રહેશે.
આ ઉપરાંત જે ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવનાર છે તેમાં ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. 09522/09521 રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જરનો સમાવેશ થાય છે તેવું રાજકોટ રેલવેના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું છે.