રાજકુમાર જાટ મોત કેસમાં 11 ડિસે.એ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ
ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવવામાં આવ્યો છે. હવે 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થશે.
4 દિવસ વિવિધ ટેસ્ટ કરવામાં આવી શકે સૂત્રોના જણાવ્યા મુજબ, આજે(8 ડિસેમ્બર, 2025) મોડી રાત સુધી એફએસએલમાં તૈયારીઓ ચાલશે. ચાર દિવસ દરમિયાન અલગ-અલગ ટેસ્ટ પણ કરાવવામાં આવી શકે છે. એફએસએલમાં નાર્કો માટે જરૂરી વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે અને નિષ્ણાતોની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત છે.
શું છે નાર્કો ટેસ્ટ? નાર્કો ટેસ્ટમાં જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન અપાય છે. જેની અસરથી તેની વિચારશક્તિ સિમિત થઈ જાય છે. આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલત હોય છે. દવાની અસરના કારણે જુઠ્ઠુ બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલો કરે છે. આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાને લેવાય છે.
કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી? નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે. એનેસ્થેસિયાની સ્થિતિમાં, વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ નથી હોતો. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી. જો કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી મળી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.