રાજકોટની યશોગાથા: ૨૦ વર્ષ વિકાસના રાજકોટની ડૉ. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે "રાઈઝિંગ રાજકોટ"ની થીમ સાથેના પ્રદર્શન એકમને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ
રાજકોટ તા. ૨૨ નવેમ્બર - ૨૦૨૫ રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટની ડૉ. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે "રાઈઝિંગ રાજકોટ"ની થીમ સાથે શહેરના ૨૦ વર્ષના વિકાસની યશગાથા વર્ણવતા પ્રદર્શન એકમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજકોટના અતિત, આગત અને અનાગતના ભવ્ય વિકાસના પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ "રાઈઝિંગ રાજકોટ"ની થીમ હેઠળ રાજકોટ શહેરના ૨૦ વર્ષના વિકાસની તસવીરી ઝલક સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ સાથેના સંસ્મરણો, કલા અને સાહિત્ય ક્ષેત્રે રાજકોટનું અનેરું પ્રદાન, પાણીના સ્વાવલંબન ક્ષેત્રે કરેલી જળક્રાંતિ, ઉદ્યોગ જગતમાં રાજકોટનો અમૂલ્ય ફાળો દર્શાવતા ઔદ્યોગિક એકમોની મશીનરીના વર્કિંગ મોડલ, વડાપ્રધાનશ્રી દ્વારા લિખિત પુસ્તકોની ઝાંખી, વર્ષ ૨૦૦૬થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીના અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોડલ સહિત જિલ્લાની વિકાસ યાત્રાને નિહાળીને રસપ્રદ માહિતી મેળવી હતી. વધુમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાએ મુખ્યમંત્રીશ્રીને દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોક કલ્યાણ કાર્યોના વિચારબીજ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ રાજકોટ જિલ્લાએ અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને વડાપ્રધાનશ્રી દ્વારા લખાયેલા અને રાજકોટ ખાતેથી વિમોચન થયેલા "જ્યોતિ પુંજ" પુસ્તકમાંથી જનસેવા માટેના વિચારોને આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વે શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડીયા, અગ્રણીઓ સર્વે શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માધવભાઈ દવે, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી રાજુભાઈ ધ્રુવ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી.શ્રી જગદીશ બાંગરવા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતનભાઈ નંદાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.