રાજકોટના ખેતલાબાપા મંદિરમાંથી 52 સાપ ઝડપાયા
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખેતલાબાપા મંદિરમાં સેન્ડબુઆ સાપ રાખવામાં આવ્યા હોવાની વન વિભાગને જાણકારી મળી. જ્યારે વન વિભાગ મંદિરમાં તપાસ માટે પહોંચ્યો તો અંદરથી એક પછી એક સાપના ઢગલા થવા લાગ્યા અને વન વિભાગને મંદિરમાંથી 52 સાપ મળ્યા. એ હેઠળ મંદિરના મહંતની વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી અટકાયત કરી, જેમનું નિવેદન નોંધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હાલ સાપને જંગલ વિસ્તારમાં છોડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વન વિભાગની પ્રાથમિક તપાસમાં મહંત પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું છે, જોકે કોઈ તસ્કરી કે ચીટિંગ થતી નહોતી, પરંતુ આમ છતાં અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી લોકોને પણ આ બાબતે અપીલ કરી વાઈલ્ડલાઈફને ઘર કે મંદિરમાં ન રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા વન વિભાગના DCF યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમને જાણકારી મળી હતી કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ખેતલાબાપા મંદિર ખાતે કોમન સેન્ડબુઆ, જે રસલ સેન્ડબુઆના નામે પણ ઓળખાય છે, એવા 50થી વધુ સાપ રાખવામાં આવ્યા હતા, જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતાં ત્યાંથી 52 જેટલા સાપ મળ્યા હતા. આ સાપ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યૂલ 2માં સંરક્ષિત છે. કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધાવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનુભાઈ દૂધરેજિયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.