રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ
રાજકોટના જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ રમાય તે પહેલા આજે સવારના સમયે અફરાતફરી મચી ગઈ હતી. એક કાળા કલરની સ્પોર્ટ્સ કાર પૂરઝડપે સ્ટેડિયમમાં ઘૂસી આવી હતી. જે કારમાં સવાર ચાર હથિયારધારી શખસોએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
આતંકીઓએ 100 કરોડ રૂપિયાની રોકડ રકમ અને કચ્છ બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે, ચેતક કમાન્ડો અને રાજકોટ ગ્રામ્ય પોલીસ ટીમે સાથે મળી આતંકીઓને ઠાર કર્યા હતા અને પછી મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આતંકીઓ ઘુસ્યા હોવાની જાણ થતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક 'ચેતક કમાન્ડો'ની ટીમ અને રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સ્ટેડિયમને ચારેય તરફથી ઘેરી લીધું હતું. હવામાં થયેલા ધડાકાના અવાજો અને એમ્બ્યુલન્સની સાયરનો વચ્ચે કમાન્ડોએ અત્યંત ચપળતાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરી ઓપરેશન શરૂ કર્યું હતું.